Last Updated on by Sampurna Samachar
ઈરાન, ઈઝરાયલ અને અમેરિકાના યુદ્ધથી વેપારીઓને નુકશાન
યુદ્ધના કારણે શિપમેન્ટ અટકતા ભારતીય વેપારીઓના ફસાયા પૈસા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈરાન, ઈઝરાયલ અને અમેરિકાના યુદ્ધના કારણે મધ્ય-પૂર્વમાં ચિંતા વધી ગઇ છે. જેની અસર ભારતના ચોખાના નિકાસકારો પર દેખાઈ રહી છે. મજબૂરીમાં શિપમેન્ટ અટકી જવાને કારણે, ચૂકવણીમાં પણ વિલંબ થઈ રહ્યો છે. મહત્વનું છે કે અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર મોટો હુમલો કર્યો છે જેથી ક્રૂડ સહિત અનેક વસ્તુઓની અવરજવર અટકી પડી છે.

રિપોર્ટ પ્રમાણે, હરિયાણામાં ચોખાના નિકાસકારો ઈરાન અને અફઘાનિસ્તાન જનારા શિપમેન્ટ તેમજ પેમેન્ટમાં વિલંબનો સામનો કરી રહ્યા છે. ચોખા નિકાસકાર એસોસિએશનના સ્ટેટ યુનિટ પ્રમુખે કહ્યું કે, યુદ્ધની અસર ચોખાના વેપાર પર શરૂ થઈ ગઈ છે. જે શિપમેન્ટ ઈરાનના સૌથી મોટા પોર્ટ બંદર અબ્બાસના રસ્તે અફઘાનિસ્તાન જઈ રહ્યા હતા, તે ત્યાં અટકી પડ્યા છે. જ્યાં સુધી હાલત ઠીક ન થઈ જાય ત્યાં સુધી તે ત્યાં અટકેલાં રહેશે.
એક દિવસમાં જ ચોખાની કિંમતમાં ૪-૫ રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો
જેની સીધી અસર માર્કેટ પર પડશે. લેવડ દેવડમાં પણ સમસ્યા ઊભી થશે. કેટલી અસર થશે તેનો અંદાજો લગાવવો હાલ મુશ્કેલ છે કેમ કે તે યુદ્ધ કેટલું ચાલશે તેના પર ર્નિભર કરે છે. બાસમતી ચોખાને લઈને સ્ટેટ યુનિટ પ્રમુખે જણાવ્યું કે, ભારતના વાર્ષિક ચોખા નિકાસના લગભગ ૩૫ ટકા હિસ્સો હરિયાણામાંથી જાય છે.
તે ઉપરાંત એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે એક દિવસમાં જ ચોખાની કિંમતમાં ૪-૫ રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઘટાડો આવ્યો છે. ઈરાન બીજો સૌથી મોટો બાસમતી ચોખાનો ખરીદદાર દેશ છે. જ્યારે UAE , ઓમાન, યમન, ઈરાક જેવા અન્ય દેશો પણ બાસમતી ચોખાની ભારતમાંથી આયાત કરે છે. ખાસ કરીને જહાજો માટે પર્યાપ્ત વીમા કવચના અભાવે ધંધાનું જોખમ ઘણું વધી ગયું છે.
સાઉદી અરેબિયા પછી ઈરાન ભારતીય બાસમતી ચોખાનું બીજું સૌથી મોટું બજાર છે, જ્યાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ભારતે આશરે ૧૦ લાખ ટન સુગંધિત ચોખાની નિકાસ કરી હતી. ગત વર્ષે ભારતમાંથી કુલ ૬૦ લાખ ટન બાસમતી ચોખાની નિકાસ થઈ હતી, જેમાં ઈરાક, UAE અને અમેરિકા જેવા દેશો પણ મુખ્ય ખરીદદારો રહ્યા છે. જોકે, હાલની અસ્થિરતાને કારણે પશ્ચિમ એશિયાના માર્કેટમાં સપ્લાય ચેઈન ખોરવાય તેવી ભીતિ નિકાસકારોને સતાવી રહી છે.