Last Updated on by Sampurna Samachar
શેફાલી છેલ્લા ૭-૮ વર્ષથી એન્ટિ-એજિંગ દવાઓ લેતી હોવાના અહેવાલ
તબિયત અચાનક બગડવા લાગી જ્યાં હોસ્પિટલમાં લઇ જવાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
તાજેતરમાં અભિનેત્રી શેફાલી જરીવાલાનું કાર્ડિયાકઅરેસ્ટના કારણે અવસાન થયું છે. જે સમાચાર તેમના ચાહકો અને પરિવારમાં શોકનો માહોલ છે. કાંટા લગા ગર્લ તરીકે પ્રખ્યાત શેફાલી વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રીનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. જોકે, મુંબઈ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. હવે આ કેસમાં એવી મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે શેફાલી છેલ્લા ૭-૮ વર્ષથી નિયમિતપણે એન્ટિ-એજિંગ દવાઓ લઈ રહી હતી. ૨૭ જૂનના રોજ તેના ઘરે પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે શેફાલીએ ઉપવાસ કર્યો હતો, પરંતુ તેમ છતાં તેણે તે જ દિવસે બપોરે એન્ટિ-એજિંગ દવાનું ઇન્જેક્શન લીધું હતું. આ દવાઓ તેને વર્ષો પહેલા ડૉક્ટરની સલાહ પર આપવામાં આવી હતી અને ત્યારથી તે દર મહિને આ સારવાર લઈ રહી છે. પોલીસને શંકા છે કે આ દવાઓ તેના અચાનક મૃત્યુનું એક મોટું કારણ હોઈ શકે છે, જેના કારણે તેને હૃદયરોગનો હુમલો આવ્યો હોઈ શકે છે.
ઘટના સમયે પતિ , માતા અને પરિવાર હતો હાજર
અહેવાલો અનુસાર, ઘટના સમયે રાત્રે ૧૦ થી ૧૧ વાગ્યાની વચ્ચે શેફાલીની તબિયત અચાનક બગડવા લાગી. તેનું શરીર ધ્રુજવા લાગ્યું અને તે બેભાન થઈ ગઈ. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી. ઘટના સમયે શેફાલીનો પતિ પરાગ, માતા અને કેટલાક અન્ય સભ્યો ઘરે હાજર હતા.
ફોરેન્સિક ટીમે તેના ઘરમાંથી વિવિધ પ્રકારની દવાઓ જપ્ત કરી છે, જેમાં એન્ટિ-એજિંગ દવાઓ, વિટામિન સપ્લિમેન્ટ્સ અને ગેસ્ટ્રિક સંબંધિત ગોળીઓનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં, પોલીસે આ કેસમાં આઠ લોકોના નિવેદનો નોંધ્યા છે, જેમાં પરિવારના સભ્યો, ઘરના નોકર અને બેલેવ્યુ હોસ્પિટલના ડૉક્ટરોનો સમાવેશ થાય છે.
તપાસ દરમિયાન કોઈપણ પ્રકારના વિવાદ કે લડાઈના સંકેતો મળ્યા નથી. પોલીસ અને ફોરેન્સિક ટીમ હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને દવાઓની લેબ તપાસના આધારે આગળની કાર્યવાહી કરી રહી છે, જેથી મૃત્યુનું સાચું કારણ જાણી શકાય. આ કેસમાં તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં સંપૂર્ણ રિપોર્ટ આવવાની અપેક્ષા છે.
તમને જણાવી દઈએ કે શેફાલીને ૨૭ જૂનના રોજ ગુરુવારે રાત્રે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. ત્યારબાદ પતિ પરાગ ત્યાગી અને અન્ય ત્રણ લોકો તેને મુંબઈની બેલેવ્યુ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. ઉલ્લેખનીય છે કે શેફાલી જરીવાલાએ ૨૦૦૨માં ૧૯૭૨ની ફિલ્મ સમાધિના ક્લાસિક લતા મંગેશકર ગીતનું રિમિક્સ કાંટા લગાની જબરદસ્ત સફળતા સાથે પોતાની ઓળખ બનાવી હતી. આ ગીતને કારણે તે કાંટા લગા ગર્લ તરીકે પ્રખ્યાત થઈ હતી.