Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાન મરીને ૮ માછીમારોનું અપહરણ કર્યું
ભારતીય જળસીમામાંથી અપહરણ કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીએ ફરી એકવાર ભારતીય માછીમારોનું અપહરણ કરવાની નાપાક હરકત કરી છે. અરબ સાગરમાં ભારતીય જળ સરહદ નજીક માછીમારી કરી રહેલી ઓખાની એક ફિશિંગ બોટનું તેના ૮ ક્રૂ મેમ્બર્સ સાથે અપહરણ કરાયું છે. આ ઘટના પોરબંદરની દરિયાઈ હદમાં આંતરરાષ્ટ્રીય જળ સરહદ નજીક બની હતી.

મળતી વિગતો મુજબ અપહરણ કરાયેલી આ ફિશિંગ બોટ ઓખા પોર્ટની હોવાનું જાણવા મળ્યું છે. જો કે, બોટ પર સવાર તમામ ૮ માછીમારો ગીર સોમનાથ જિલ્લાના હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ માછીમારો મારવાડની એક બોટ પર સવાર થઈને અરબ સાગરમાં પોરબંદર નજીક પોતાની રોજીરોટી માટે માછીમારી કરી રહ્યા હતા.
સમગ્ર માછીમાર સમાજમાં ચિંતા અને ભયનો માહોલ
તે જ સમયે પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીના જવાનોએ ત્યાં ઘૂસણખોરી કરી ભારતીય બોટને આંતરી હતી અને બળજબરીથી બોટ તેમજ તેમાં સવાર તમામ ૮ માછીમારોનું અપહરણ કરીને તેમને પાકિસ્તાન તરફ લઈ ગયા હતા.
આ માછીમારોના અપહરણના સમાચાર વાયુવેગે ફેલાતા જ તેમના પરિવારજનો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. પાકિસ્તાન દ્વારા અવારનવાર થતી આ અપહરણની પ્રવૃત્તિઓને કારણે સમગ્ર માછીમાર સમાજમાં ચિંતા અને ભયનો માહોલ સર્જાયો છે. આ ઘટનાની ગંભીર નોંધ લેતા ભારતીય કોસ્ટ ગાર્ડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર આવી ગઈ છે. દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે.