Last Updated on by Sampurna Samachar
નવી ડેડલાઈન ૧ ઑગસ્ટ આપી ભારતને વધુ સમય આપ્યો
વિશેષ સચિવ રાજેશ અગ્રવાલે આપી જાણકારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલી દ્વિપક્ષીય વેપાર કરારની બેઠકો અંતિમ તબક્કામાં હોવાનું વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું છે. બંને દેશો વચ્ચે વાત માત્ર કૃષિ અને ઓટો સેક્ટરમાં ટેરિફ મુદ્દે અટવાઈ છે. જેને ઉકેલવા માટે ભારતીય પ્રતિનિધિઓ આગામી સપ્તાહે વોશિંગ્ટન જઈ શકે છે. ૭ જુલાઈના રોજ વિશેષ સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, ભારત અમેરિકા સાથે કરાર મુદ્દે વાતચીતને અંતિમ રૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ અગ્રવાલના નેતૃત્વ હેઠળ ભારતીય પ્રતિનિધિઓ આગામી સપ્તાહે વોશિંગ્ટન જવા રવાના થઈ શકે છે. હાલ ૪ જુલાઈએ જ ભારતીય પ્રતિનિધિઓની ટીમ અંતિમ તબક્કાની વાતચીત પૂર્ણ કરી અમેરિકાથી પરત ફરી હતી. તે સમયે ટેરિફ લાગુ કરવાની ડેડલાઇન ૯ જુલાઈ હતી. પરંતુ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાની નવી ડેડલાઈન ૧ ઑગસ્ટ આપતાં ભારતને વેપાર કરાર મુદ્દે ર્નિણયો લેવા માટે વધુ સમય મળ્યો છે.
ભારત અમેરિકાની પ્રોડક્ટ્સ પર ૫૨ ટકા ટેરિફ વસૂલે
અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર કૃષિ અને ડેરી પ્રોડક્ટ્સ, અને ઓટો સેક્ટરમાં ટેરિફ મુદ્દે વાત અટવાઈ છે. અમેરિકા ભારતનું ડેરી અને કૃષિ બજાર ખુલ્લું મૂકવાની માંગ કરી રહ્યું છે. જેના બદલામાં અમેરિકા ભારત દ્વારા નિકાસ થતાં કાપડ, જૂતા-ચપ્પલ પર ટેરિફ ઘટાડશે. ઓટો મોબાઇલ સેક્ટરમાં પણ રાહતોની માંગ છે. ભારતે કપડાં, જેમ્સ-જ્વેલરી, ચામડું, પ્લાસ્ટિક અને કેમિકલ જેવા ક્ષેત્રોમાં અમુક રાહતોની માગ કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ૨ એપ્રિલના રોજ ભારત સહિત અનેક દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો હતો. જેમાં ભારત પર ૨૬ ટકા ટેરિફ લાદ્યો હતો, સામે ભારત અમેરિકાની પ્રોડક્ટ્સ પર ૫૨ ટકા ટેરિફ વસૂલે છે.
આ ટેરિફ બાદ ભારત સહિત વૈશ્વિક બજારોમાં ભારે ઉથલ-પાથલ બાદ ટ્રમ્પે ૯ એપ્રિલે રેસિપ્રોકલ ટેરિફ ૯૦ દિવસ માટે સ્થગિત કર્યો હતો. આ ૯૦ દિવસની ડેડલાઇન ૯ જુલાઈના રોજ પૂર્ણ થઈ હતી. જોકે, ટ્રમ્પે ફરી તેમાં વધારો કરી ૧ ઑગસ્ટની નવી ડેડલાઇન આપી છે. પરંતુ ૧૦ ટકા બેઝલાઇન ટેરિફ લાગુ છે. આ રોક ચીન સિવાય તમામ દેશો પર લાગુ છે.