Last Updated on by Sampurna Samachar
વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ આપી જાણકારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાએ ગેરકાયદે વસવાટ કરતાં ૪૮૭ ભારતીયોને ડિપોર્ટ કરવાનો અંતિમ આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારે આ અંગે માહિતી આપી હતી. કેન્દ્ર સરકારે હાલમાં ડિપોર્ટ કરવામાં આવેલા ૧૦૪ ભારતીયો સાથે દુર્વ્યવહારનો મુદ્દો અમેરિકા સમક્ષ ઉઠાવવાની ખાતરી પણ આપી છે.
વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ નોંધ્યું હતું કે, ડિપોર્ટેશન દરમિયાન નિયંત્રણોનો ઉપયોગ સંબંધિત પ્રક્રિયા મુદ્દે ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ સહિત યુએસ સત્તાધીશોનું ધ્યાન દોર્યું છે. ઉલ્લેખનીય છે, ડિપોર્ટેશનની પ્રક્રિયા લાંબા સમયથી અમલમાં છે.
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ જણાવ્યું કે, અમેરિકાના સત્તાધીશોએ ૪૮૭ ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરવાનો અંતિમ આદેશ આપ્યો છે. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ૧૦૪ ભારતીયો સાથે દુર્વ્યવહારનો મુદ્દો અમેરિકા સમક્ષ ઉટાવવામાં આવશે. અમે અમેરિકાની ઓથોરિટી સાથે આ મુદ્દે ચર્ચા કરીશું. તેમજ તેમને આ પ્રકારનો દુર્વ્યવહાર ન કરવા અપીલ કરીશું. હાલમાં જ ડિપોર્ટ કરવામાં આવેલા ૧૦૪ ભારતીયોને હાથમાં હથકડી, પગમાં બેડીઓ બાંધી લાવવામાં આવતાં વિપક્ષે અમાનવીય વ્યવહાર કર્યો હોવાનો આક્ષેપ કરતાં હોબાળો મચાવ્યો હતો.
વિદેશ સચિવે ગેરકાયદે ઈમિગ્રેશનને પ્રોત્સાહન આપતાં એજન્ટ્સ, અને નેટવર્ક્સ વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવા પર જોર કર્યું છે. તેમણે ગેરકાયદે ઈમિગ્રેશનને વેગ આપતી સમગ્ર ઈકોસિસ્ટમ પર કાર્યવાહી કરવાની જરૂરિયાત દર્શાવી છે. પ્રેસ કોન્ફરન્સમાં અગાઉ ૨૦૧૨માં અમેરિકામાંથી ભારતીયોના ડિપોર્ટેશન પર વિરોધ થયો હોવાના સવાલ પર મિસ્રીએ જણાવ્યું કે, અગાઉ ક્યારેય અમેરિકામાંથી ડિપોર્ટેશન બાદ દેખાવો કે વિરોધ નોંધાયા હોવાના અહેવાલો નથી.