Last Updated on by Sampurna Samachar
ઓપરેશન ત્રિશૂળ થાર રણ અને સર ક્રીક ક્ષેત્ર વચ્ચે યોજાશે
ભારતની આ આક્રમક કવાયતથી પાકિસ્તાનમાં હડકંપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત ૩૦ મી ઓક્ટોબરથી ૧૦મી નવેમ્બર સુધી તેની પશ્ચિમી સરહદ પર આર્મી, નેવી અને એરફોર્સની સંયુક્ત લશ્કરી કવાયતનું આયોજન કરી રહ્યું છે, જેને પગલે પાકિસ્તાનમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ઓપરેશન ત્રિશૂળ નામની આ મહત્ત્વપૂર્ણ કવાયત સર ક્રીક, સિંધ અને કરાચીની ધરી પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે વિસ્તારને પાકિસ્તાનના ઊંડા દક્ષિણ તરીકે ઓળખાઈ છે. ભારતની આ આક્રમક કવાયતને કારણે ઇસ્લામાબાદને તેના દક્ષિણ કમાન્ડમાં સુરક્ષા વ્યવસ્થા અને તકેદારી વધારવાની ફરજ પડી છે. પાકિસ્તાન કવાયત પર કડક દેખરેખ રાખી રહ્યું છે.

અહેવાલો અનુસાર, ભારતીય કવાયતને ધ્યાનમાં રાખીને પાકિસ્તાની સૈન્યએ સિંધ અને પંજાબમાં આવેલા તેના દક્ષિણ કમાન્ડ માટે હાઇ એલર્ટ જાહેર કર્યું છે. કોઈપણ સંભવિત આક્રમણનો જવાબ આપવા માટે પાકિસ્તાની વાયુસેના અને નૌકાદળને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે. બહાવલપુર સ્ટ્રાઈક કોર્પ્સ અને કરાચી કોર્પ્સને વિશેષ તૈયારીઓ માટે પસંદ કરવામાં આવ્યા છે.
પાકિસ્તાનની સુરક્ષા ચિંતાઓ વધી ગઈ
શોરકોટ, બહાવલપુર, રહીમ યાર ખાન, જેકોબાબાદ, ભોલારી અને કરાચી જેવા વ્યૂહાત્મક એરપોર્ટને પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે. અરબ સાગરમાં પેટ્રોલિંગ અને નૌકાદળની પ્રવૃત્તિઓ વધારવા માટે પણ તાત્કાલિક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. ઓપરેશન ત્રિશૂળ થાર રણ અને સર ક્રીક ક્ષેત્ર વચ્ચે યોજાશે, જેનો મુખ્ય હેતુ દક્ષિણ પ્રદેશોમાં નૌકાદળ, વાયુસેના અને સેના વચ્ચે સંકલન અને ઇન્ટિગ્રેટેડ ઓપરેશનની ક્ષમતા ચકાસવાનો છે.
પાકિસ્તાની અધિકારીઓને ડર છે કે ભારતીય સેના આ કવાયતનો ઉપયોગ કરાચી સાથે જાેડાયેલા દરિયાઈ ચોકપોઇન્ટ્સ અને દરિયાકાંઠાના માળખાને જોખમમાં મૂકવા માટે કરી શકે છે. પાકિસ્તાનનો લગભગ ૭૦ ટકા વેપાર કરાચી બંદર અને બિન કાસિમ પોર્ટમાંથી થાય છે, જેના કારણે આ સુવિધાઓ વ્યૂહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ ગણાય છે. ભારતીય કવાયતના આયોજનથી પાકિસ્તાનની સુરક્ષા ચિંતાઓ વધી ગઈ છે.