Last Updated on by Sampurna Samachar
ઇન્ડિયાના આ પગલાંથી ઇરાન થયુ ખુશ
ભારતે SCO ના એક નિવેદન પર ચર્ચામાં ભાગ ન લીધો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતે એકવાર ફરીથી વૈશ્વિક મંચ પર એવો અવાજ ઉઠાવ્યો છે કે આખી દુનિયા સ્તબ્ધ થઈ છે. હંમેશા તટસ્થ રહેનારું ભારત આ વખતે ઈરાન હુમલા પર ચિંતાતુર જોવા મળ્યું હતું. સમગ્ર દુનિયાને એક સંદેશ આપ્યો કે ભારત ખોટા સાથે ઊભું નથી.
ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ બ્રિક્સ દેશો સાથે મળીને ભારતે ઈરાન પર ૧૩ જૂન ૨૦૨૫ થી થઈ રહેલી સૈન્ય કાર્યવાહી પર ઊંડી ચિંતા વ્યક્ત કરી. આ હુમલાઓને ભારતે આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનો ભંગ ગણાવ્યો છે. આ પગલાંથી ફક્ત મધ્ય પૂર્વની સ્થિતિ પર જ ભારતનું વલણ સ્પષ્ટ નથી થતું. પરંતુ વૈશ્વિક શાંતિ માટે પણ તેની પ્રતિબદ્ધતા દુનિયાએ જોઈ છે.
ઈરાની લોકોનો જુસ્સો વધાર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૫-૬ જુલાઈના રોજ રિયો ડી જનેરિયોમાં થનારા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે. જ્યાં આ મુદ્દો વધુ વિસ્તૃત રીતે ઉઠશે. ભારતના આ વલણથી ઈરાન ખુબ ખુશ છે. ઈરાની દૂતાવાસે દિલ્હીમાં નિવેદન બહાર પાડીને ભારતના સ્વતંત્રતા પ્રેમી લોકો, રાજકીય પક્ષો, સાંસદો, સામાજિક કાર્યકરો, પત્રકારો અને ધાર્મિક નેતાઓનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. દૂતાવાસે કહ્યું કે જ્યારે ઈઝરાયેલ અને અમેરિકાએ ઈરાન પર હુમલા કર્યા તો ભારતના લોકોના સમર્થન અને શાંતિ માટે તેમના અવાજે ઈરાની લોકોનો જુસ્સો વધાર્યો.
બ્રિક્સના સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ઈરાન પર થયેલા સૈન્ય હુમલા ખાસ કરીને ફોર્ડો, ઈસ્ફહાન અને નતાંજ જેવા પરમાણુ ઠેકાણાઓ પર હુમલા, આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ છે. આ હુમલાઓએ મધ્ય પૂર્વમાં તણાવને વધુ વધાર્યો જે વૈશ્વિક શાંતિ અને અર્થવ્યવસ્થા માટે જોખમ છે.
નિવેદનમાં તમામ પક્ષો સાથે વાતચીત અને કૂટનીતિ દ્વારા તણાવ ઘટાડવાની અપીલ કરાઈ. આ સાથે જ નાગરિકોના જાનમાલની રક્ષા, અને ઈન્ફ્રાસ્ર્ટ્કચરને નુકસાનથી બચાવવા પર ભાર આપવામાં આવ્યો. બ્રિક્સે મધ્ય પૂર્વમાં પરમાણુ હથિયારોથી મુક્ત ક્ષેત્ર બનાવવાની વાત પણ દોહરાવી.
ઈરાની દૂતાવાસે પોતાના નિવેદનમાં કહ્યું કે ભારતનું સમર્થન ફક્ત રાજકીય નથી, પરંતુ તે ન્યાય, કાયદા અને વૈશ્વિક શાંતિના મૂલ્યોની પુષ્ટિ છે. ઈરાનનું માનવું છે કે ભારત જેવા દેશોની એકજૂથતા યુદ્ધ, હિંસા અને અન્યાય વિરુદ્ધ મજબૂત દીવાલ બનાવે છે.
જોકે ભારતે આ અગાઉ શાંઘાઈ સહયોગ સંગઠન( SCO) ના એક નિવેદનથી પોતાને અલગ રાખ્યું હતું. જેમાં ઈઝરાયેલા હુમલાઓની ટીકા કરાઈ હતી. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે ભારતે SCO ના એક નિવેદન પર ચર્ચામાં ભાગ નથી લીધો અને તેનું વલણ ૧૩ જૂનના રોજ જ સ્પષ્ટ કરી દેવાયું હતું. ભારતે ત્યારે પણ કૂટનીતિ અને વાતચીત દ્વારા શાંતિની વકીલાત કરી હતી. ભારતનું આ પ્રકારનું નિવેદન ખાસ કરીને બ્રિક્સ જેવા મંચ પર બોલવું એ નવા ભારતની કહાની દર્શાવે છે.
બ્રિક્સના નિવેદનમાં સામેલ થઈને ભારતે ઈરાન સાથે એકજૂથતા દેખાડી ઉલ્ટું દુનિયાને પણ દેખાડી દીધુ કે તે શાંતિ અને આંતરરાષ્ટ્રીય કાયદા માટે કેટલું ગંભીર છે. આ પગલાંએ આખી દુનિયાને ચોંકાવી દીધી છે. ભારતે એકવાર ફરીથી કૂટનીતિક રસ્તા દ્વારા પોતાની એક અલગ રેખા ખેંચી લીધી છે.