Last Updated on by Sampurna Samachar
૨૪ જુલાઈ ૨૦૨૫ થી ટુરિસ્ટ વિઝા પ્રક્રિયા શરૂ
ગલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચે થઇ હતી હિંસક અથડામણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત સરકારે પાંચ વર્ષના લાંબા ગાળા પછી ચીની નાગરિકોને પ્રવાસી વિઝા આપવાની જાહેરાત કરી છે. આ પ્રક્રિયા ૨૪ જુલાઈ, ૨૦૨૫ થી ફરી શરૂ કરવામાં આવી છે. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસે આ ર્નિણયની માહિતી આપી.

નોંધનીય છે કે માર્ચ ૨૦૨૦ માં, ભારતે કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન ચેપ અટકાવવા માટે તમામ પ્રવાસી વિઝાને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધા હતા. ત્યારથી ચીની નાગરિકો માટે વિઝા સેવા બંધ હતી. તમને જણાવી દઈએ કે, દૂતાવાસે એ પણ સ્પષ્ટતા કરી હતી કે બેઇજિંગમાં ભારતીય વિઝા સેન્ટરમાં પાસપોર્ટ પરત કરવા માટે અરજી કરતી વખતે યોગ્ય રીતે જારી કરાયેલ ‘Passport Withdrawal Letter’ ફરજિયાત રહેશે.
ભારત-ચીન સંબંધો ધીમે ધીમે આગળ વધ્યાં
જૂન ૨૦૨૦ માં કોવિડ-૧૯ રોગચાળા અને ગલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણો પછી બંને દેશો વચ્ચે મુસાફરી અને પરસ્પર સંપર્ક લગભગ સ્થગિત થઈ ગયો હતો. પાછલા વર્ષોમાં, ચીને ભારતીય વિદ્યાર્થીઓ અને ઉદ્યોગપતિઓને વિઝા આપવાનું શરૂ કર્યું હતું, પરંતુ સામાન્ય મુસાફરી પર પ્રતિબંધો યથાવત રહ્યા હતા.
ગલવાન ખીણની ઘટના પછી, બંને દેશો વચ્ચેના સંબંધો ૧૯૬૨ ના યુદ્ધ પછી સૌથી ખરાબ સ્થિતિમાં પહોંચી ગયા. જોકે, પાછળથી રાજદ્વારી અને લશ્કરી વાટાઘાટોના અનેક રાઉન્ડ દ્વારા, સૈનિકોએ પેંગોંગ લેક, ગલવાન અને હોટ સ્પ્રિંગ્સ જેવા ઘણા તંગ વિસ્તારોમાંથી પાછા ખેંચી લીધા. ઓક્ટોબર ૨૦૨૪ માં, ડેપ્સાંગ અને ડેમચોક વિસ્તારોમાંથી સૈનિકો પાછા ખેંચવા માટે પણ એક કરાર થયો. આના થોડા દિવસો પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ રશિયાના કાઝાનમાં મળ્યા, જેમાં દ્વિપક્ષીય સંબંધોને પાટા પર લાવવા માટે ઘણા મહત્વપૂર્ણ ર્નિણયો લેવામાં આવ્યા.
હવે ભારત અને ચીન બંને લોકો વચ્ચેનો સંપર્ક વધારવા માંગે છે. આ માટે સીધી ફ્લાઇટ્સ શરૂ કરવાની અને કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાની યોજના છે. કોવિડને કારણે આ યાત્રા બંધ થઈ ગઈ હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરે એમ પણ કહ્યું છે કે ભારત-ચીન સંબંધો ધીમે ધીમે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છે.