Last Updated on by Sampurna Samachar
ખૈબર પખ્તૂનખ્વામાં હુમલા બદલ આપ્યો જવાબ
હુમલામાં ૨૦ થી વધુ લોકોના મોત થયા હતાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
યુનાટેડ નેશન્સના મંચ પર ભારતે ફરી એકવાર પાકિસ્તાનને આકરો જવાબ આપ્યો છે. માનવાધિકાર પરિષદના મંચ પર ભારતે પાકિસ્તાનને ગેરકાયદે કબજો છોડવાની સલાહ આપી છે. તેમજ આતંકવાદને ટાર્ગેટ કર્યો છે. તદુપરાંત ભારતે ખૈબર પખ્તૂનખ્વામાં હુમલા બદલ પાકિસ્તાનની ટીકા કરી છે. આ હુમલામાં ૨૦ થી વધુ લોકોના મોત થયા હતાં.

ભારતીય રાજદ્વારી ક્ષિતિજ ત્યાગીએ જણાવ્યું હતું કે, અમારા ક્ષેત્ર પર લોભ રાખવાને બદલે ભારતીય પ્રદેશ પર કરેલો ગેરકાયદે કબજો છોડી દેવો જોઈએ. જ્યારે તેઓ આતંકવાદને પ્રોત્સાહન આપવા, યુએન દ્વારા નિયુક્ત આતંકવાદીઓને આશ્રય આપવા અને પોતાના લોકો પર જ બોમ્બમારા કરવામાંથી ફુરસદ મળે તો તેઓએ લાઈફ સપોર્ટ પર નભેલી અર્થવ્યવસ્થા, લશ્કરના વર્ચસ્વ હેઠળનું રાજકારણ અને તેમના દમનકારી નીતિઓ ધરાવતા પાકિસ્તાને પોતાના માનવાધિકાર રેકોર્ડમાં સુધારો કરવો જોઈએ.‘
હુમલામાં આખેઆખું ગામ નાશ પામ્યું
એક અહેવાલ મુજબ, પાકિસ્તાન વાયુસેનાએ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના તિરાહ ખીણના મત્રે દારા ગામમાં પોતાના જ નાગરિકો પર હવાઈ હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા ૩૦ લોકો માર્યા ગયા અને સેંકડોથી વધુ ઘાયલ થયા. મૃતકોમાં મહિલાઓ અને બાળકો સમાવિષ્ટ છે.
આ હુમલો ૨૧ સપ્ટેમ્બરની રાત્રે થયો હતો, અને ઘણા સ્થાનિક સૂત્રો અનુસાર, પાકિસ્તાની સેનાએ તેના ચીની બનાવટના JF-17 ફાઇટર જેટથી ગામ પર ઓછામાં ઓછા આઠ LS-6 બોમ્બ ફેંક્યા હતા. ગામના લોકોનું કહેવું છે કે આ હુમલામાં આખેઆખું ગામ નાશ પામ્યું હતું. ઘરો અને શેરીઓમાં બળી ગયેલા મૃતદેહોનો ખડકલો થયો હતો.
પાકિસ્તાની સૈન્ય કે સરકારી સૂત્રો તરફથી હુમલાના પ્રમાણ, તેના લક્ષ્યો અથવા કોઈ આતંકવાદીઓની હાજરી અંગે તાત્કાલિક કોઈ સ્પષ્ટતા મળી નથી. પાકિસ્તાની સૈન્યએ ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાનમાં નાગરિકો પરના અત્યાચારો પર મૌન જાળવ્યું છે.
મીડિયા અહેવાલ મુજબ, સ્થાનિક વહીવટીતંત્રે પાકિસ્તાની લડાકુ વિમાનો દ્વારા કમ્પાઉન્ડ પર હવાઈ હુમલો કરવાના દાવાઓને નકારી કાઢ્યા હતા, અને કહ્યું હતું કે બોમ્બ બનાવવામાં વપરાતા વિસ્ફોટકો વિસ્ફોટ થયો હતો. જેના લીધે ૧૪ આતંકવાદીઓ સહિત ૨૪ લોકો માર્યા ગયા હતા.