Last Updated on by Sampurna Samachar
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કર્યો દાવો
અમેરિકા અને ચીન બાદ આવ્યો ભારતનો નંબર
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં ઈલેક્ટ્રિક વાહનો (EV) નું વેચાણ વધારવા માટે કેન્દ્ર સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. સરકાર છેલ્લા થોડા વર્ષોથી લોકોને EV ખરીદવા માટે ઘણું પ્રોત્સાહન આપતી રહી છે. આ સાથે જ ટેકનોલોજી પણ ઘણી આગળ વધી રહી છે અને અવારનવાર નવા ફીચર્સવાળા EV પણ લોન્ચ થઈ રહ્યા છે, ત્યારે ઈલેક્ટ્રિક વાહનના વેચાણ મુદ્દે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ભારત જાપાનને પાછળ છોડીને વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ (automobile) માર્કેટ બની ગયું છે.

ગડકરીએ કહ્યું કે, ‘ભારત ૨૦૩૦ સુધીમાં ઈલેક્ટ્રિક વાહનોનો સૌથી મોટો ઉત્પાદક બનવા માટે પહેલેથી જ તૈયાર છે. ભારતનું EV ક્ષેત્રનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે. જ્યારે અમારી સરકાર ૨૦૧૪ માં સત્તામાં આવી હતી, ત્યારે મેં ઈલેક્ટ્રિક વાહનની વાત કરી હતી, જોકે તે વખતે મારા વિચાર પર કોઈએ વિશ્વાસ કર્યો ન હતો, પરંતુ આજે આ એક સત્ય બની ગયું છે.’
EV ના વેચાણમાં વધારો થયો
તેમણે કહ્યું કે, ‘જ્યારે અમારી સરકારે સત્તા સંભાળી ત્યારે ભારતીય મોટર વાહન ઉદ્યોગનું કદ ૧૪ લાખ કરોડ રૂપિયા હતું અને હવે તે વધીને ૨૨ લાખ કરોડ પર પહોંચી ગયું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આપણે જાપાનને પાછળ છોડીને અમેરિકા અને ચીન બાદ વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બની ગયા છે.
તાજેતરના વર્ષોમાં ભારતમાં ઈલેક્ટ્રિક વાહનના વેચાણમાં જબરદસ્ત વૃદ્ધિ થઈ છે, જે સતત ચાલુ જ રહેશે. સરકારની નીતિઓ તેમજ માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવાથી EV ના વેચાણમાં વધારો થયો છે. આ સાથે હજુ વેચાણમાં વધારો થાય તે માટે પ્રયાસો કરવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત ૨૦૩૦ સુધીમાં EV ઉત્પાદનમાં અન્ય દેશોથી આગળ વધવાની યોજના ધરાવે છે. આનાથી પર્યાવરણીય સંરક્ષણ અને ઊર્જા બચતમાં પણ મદદ કરશે.