Last Updated on by Sampurna Samachar
કુલ આઠ જેટલા માર્ગ અકસ્માતના બનાવો નોંધાયા
આઠ વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા શહેર અને જિલ્લામાં માર્ગ અકસ્માતના આઠ જેટલા બનાવો નોંધાયા છે. આ વિવિધ દુર્ઘટનાઓમાં કુલ આઠ વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્લિપ થવા, રસ્તા પર પશુ ઉતરી આવવા અને અજાણ્યા વાહનોની ટક્કરને કારણે આ અકસ્માતો સર્જાયા હતા.

પ્રથમ અકસ્માતના બનાવની મળતી વિગત મુજબ તરસાલીમાં રહેતા ૫૮ વર્ષના સંતોષ પવાર માંજલપુર કુબેરેશ્વર મંદિર પાસેથી પસાર થતા હતા ત્યારે રસ્તા વચ્ચે કૂતરું આવી જવાથી બાઈક પરથી પડી ગયા હતા. જેમાં તેને ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા.
અકસ્માતના વિવિધ વિસ્તારો અને કારણો
બીજા અકસ્માતના બનાવની મળતી વિગત મુજબ આજવા રોડ વિનય સોસાયટીમાં રહેતા ૪૩ વર્ષના અનંત ભાવસાર રિક્ષામાં બેસીને ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારતા ઈજાઓ પહોંચી હતી.
ત્રીજા અકસ્માતના બનાવની મળતી વિગત મુજબ ભૂતડી ઝાપા એનિમલ હોસ્પિટલ પાસે રહેતા ૪૫ વર્ષના મહામુદ્દીન દૂધવાલા ઘર નજીક બાઇક પરથી પડી ગયા હતા. તેમજ ચોથા અકસ્માતના શહેના પીલોલ ગામે અજાણ્યો ૪૫ વર્ષનો બાઇક ચાલક પડી ગયો હતો.
પાંચમી ઘટના આંબેડકર સર્કલ નજીક માધવપુરા ગામના ઋષિલ હિરપરાનું એકટીવા સ્લીપ થયું હતું. જેમાં તેને ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા. છઠ્ઠા અકસ્માતના બનાવની મળતી વિગત મુજબ તરસાલીમાં રહેતા ૩૬ વર્ષના ચેતન બારીયા લિજંડ હોટલ પાસેથી ચાલતા જતા હતા. ત્યારે અજાણ્યા બાય ચાલકે ટક્કર મારી હતી.
સાતમા અકસ્માતના બનાવની મળતી માહિતી અનુસાર મકરપુરા એબીબી કંપનીમાં કામ કરતા ૫૬ વર્ષના રાજેન્દ્ર રામવિલાસ શર્મા મકરપુરા પોલીસ સ્ટેશન પાસે તળાવની નજીકથી પસાર થતા હતા ત્યારે બાઈક પરથી પડી ગયા હતા.
આઠમા અકસ્માતના બનાવની મળતી માહિતી અનુસાર રણોલી ગામની રામનગર સોસાયટીમાં રહેતા ૩૭ વર્ષના ઉમેદ રમેશ હરીજન સાંકરદા નાયરા પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા હતા ત્યારે તેમનું એકટીવા સ્લીપ થયું હતું. તેને ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા.
વાઘોડિયા તાલુકાના આસોજ ગામે બાઈક સ્લીપ થવાથી ચાલકનું મોત ઉલ્લેખનીય છે કે, પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના છત્રોડા ગામના રાઠવા ફળિયામાં રહેતા ૪૫ વર્ષીય કમલી જશવંત રાઠવા વાઘોડિયા તાલુકાના આસોજથી જરોદ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થવાથી ગંભીર ઈજા પહોંચી હતી તેમને પ્રથમ જરોદ આરોગ્ય કેન્દ્રમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. જરોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.