Last Updated on by Sampurna Samachar
બે બાઈક સામ-સામે ટકરાતા અકસ્માત, ત્રણ યુવકોના મોત
અકસ્માતમાં એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તે હાલ નંદુરબાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં વધતા જતા અકસ્માતોની ઘટના વચ્ચે તાપીના ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવે પર ગંભીર માર્ગ અકસ્માતમાં ત્રણ યુવકોનું કરુણ મોત નીપડ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ, ગતરાત્રીએ નિઝરના ગામડી ગામની સીમમાં બે બાઈકો સામ-સામે ટકરાતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

જેમાં ત્રણ યુવકો મોતને ભેટ્યા છે, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક યુવક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
યુવક કેટલીક ક્ષણો સુધી રોડ પર તરફડિયાં મારતો રહ્યો!
વિગતે વાત કરીએ તો, તાપી જિલ્લામાં નિઝર તાલુકાના રૂમકી તળાવ ગામનાં ત્રણ યુવકો બાઇક મારફતે ગત રાત્રે ૧૧ અને ૧૨મી એપ્રિલ વચ્ચે ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવે પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે નિઝરના ગામડી ગામની સીમમાં કાળરૂપે સામેથી આવતા અન્ય બાઈક સાથે ટકરાતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.
બે બાઈક સામ-સામે અથડાતા સર્જાયેલો આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ઘટનામાં બંને બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ચારેય બાજુ બાઈકનો કાટમાળ ફેલાઈ ગયો હતો અને ગંભીર રીતે ઈજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં ચારેય યુવકો ઘટનાસ્થળે ઢળી પડ્યા હતા. જે બાદ ત્રણ યુવકોનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું, જ્યારે એક યુવક કેટલીક ક્ષણો સુધી રોડ પર તરફડિયાં મારતો રહ્યો!
બાદમાં રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અકસ્માત સ્થળે એકઠા થયા હતા અને તેઓએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કર્યું હતું.
બાદમાં ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં એક યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો, સાથે જ ત્રણ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ પહોંચાડી તપાસ શરૂ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં, રૂમકી તળાવ ગામના બે અને વેડાપાડા ગામના એક યુવકનું આ અકસ્માતમાં મોત નીપજ્યું હોવાની માહિતી સામે આવી છે. મૃતકોની ઓળખ રૂમકી તળાવ ગામનાં શ્રાવણ વસાવા, સંદીપ વસાવા અને વેડાપાડા ગામના ઋષિકેશ વળવી તરીકે થઈ છે.
જ્યારે રૂમકી તળાવના અન્ય યુવક વિનુ વળવીને ગંભીર ઇજાઓ પહોંચતા તે હાલ નંદુરબાર હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે. હાલ આ સમગ્ર મામલે નિઝર પોલીસને આગળની તપાસ હાથ ધરી છે, ત્યારે આ ગમખ્વાર અકસ્માતના સમાચાર વાયુવેગે ફેલાતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ પ્રસર્યો છે.