‘બદલાતી દુનિયામાં એકપક્ષીય ધમકીઓ હવે નહીં ચાલે’

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ચીનના વિદેશમંત્રીની દિલ્હીમાં વિદેશમંત્રી જયશંકર સાથે મુલાકાત

આ વર્ષે બંને દેશોના રાજદ્વારી સંબંધોની ૭૫મી વર્ષગાંઠ

(સંપૂર્ણ સમાચાર સેવા)

ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ દિલ્હીમાં વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી  હતી. તેમણે કહ્યું કે ભારત-ચીન સંબંધોમાં સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે અને બંને દેશોએ એકબીજાને હરીફ નહીં, પણ ભાગીદાર તરીકે જોવા જોઈએ. આ મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચીન પ્રવાસ પહેલા થઈ રહી છે, જ્યાં તેઓ શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન ના શિખર સંમેલનમાં ભાગ લેશે.

વાંગે જણાવ્યું કે, ‘આ વર્ષે બંને દેશોના રાજદ્વારી સંબંધોની ૭૫મી વર્ષગાંઠ છે અને ભૂતકાળના તણાવમાંથી પાઠ શીખી શકાય છે.‘ તેમણે અમેરિકાની પણ ટીકા કરતા કહ્યું કે, બદલાતી દુનિયામાં એકપક્ષીય ધમકીઓ હવે નહીં ચાલે. વાંગે ભાર મૂક્યો કે ભારત અને ચીન, વિશ્વના સૌથી મોટા વિકાસશીલ દેશ તરીકે, વૈશ્વિક જવાબદારીની ભાવના બતાવવી જોઈએ અને એકતાથી કામ કરવું જોઈએ.

દ્વિપક્ષીય સંબંધોને સુધારવા પર ભાર મૂક્યો

વાંગે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે સીમા વિવાદ પર પણ વાતચીત કરી. બંને દેશો સરહદ પર શાંતિ જાળવવા અને ભારતીય તીર્થયાત્રીઓ માટે તિબેટ યાત્રા ફરીથી શરૂ કરવા પર કામ કરી રહ્યા છે. વાંગની આ મુલાકાત ૨૦૨૦ ના ગલવાન સંઘર્ષ બાદ સંબંધો સુધારવાના પ્રયાસ તરીકે જાેવામાં આવી રહી છે.

વાંગે ભારતની મુલાકાત દરમિયાન અમેરિકાની ટીકા કરી હતી. તેમણે અમેરિકા પર આડકતરી રીતે કટાક્ષ કરતા કહ્યું કે, ‘દુનિયા બદલાઈ રહી છે અને તેની વચ્ચે એકતરફી ધમકીઓ આપવાનું ચલણ પણ વધી રહ્યું છે, જે હવે ચાલશે નહીં.

તેમણે વધુમાં કહ્યું કે, ‘મુક્ત વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા સામે ગંભીર પડકારો છે. ૨.૮ અબજથી વધુની સંયુક્ત વસ્તી ધરાવતા બે સૌથી મોટા વિકાસશીલ દેશો તરીકે, ચીન અને ભારતે વૈશ્વિક જવાબદારીની ભાવના બતાવવી જોઈએ, મહાસત્તા તરીકે કામ કરવું જાેઈએ અને એકતા દ્વારા વિકાસશીલ દેશો માટે એક ઉદાહરણ સ્થાપિત કરવું જોઈએ. ભારત અને ચીને વિશ્વમાં યોગદાન આપવું જાેઈએ અને આંતરરાષ્ટ્રીય સંબંધોને લોકતાંત્રિક બનાવવા માટે મદદ કરવી જોઈએ.‘

ચીનના વિદેશ મંત્રી મુખ્યત્વે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે સરહદી મુદ્દા પર વિશેષ પ્રતિનિધિ વાટાઘાટો માટે ભારત આવ્યા છે. ડોભાલ અને વાંગ બંને જ સરહદી વાટાઘાટ પ્રણાલી માટે વિશેષ પ્રતિનિધિ તરીકે કામ કરે છે.

ડોભાલે ગયા વર્ષે ડિસેમ્બરમાં ચીનની મુલાકાત લીધી હતી અને વાંગ સાથે ૨૩મા રાઉન્ડની વાતચીત કરી હતી. આના થોડા અઠવાડિયા પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન રશિયાના કઝાન શહેરમાં મુલાકાત કરી હતી. બંને નેતાઓએ આ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને સુધારવા પર ભાર મૂક્યો હતો.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.