Last Updated on by Sampurna Samachar
પ્રસંગોમાં ખર્ચને ઘટાડવા અંગે નિર્ણય
સંમેલનમાં ૪૦ હજારથી વધુ લોકો એકઠા થવાની સંભાવના
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં ઠાકોર સમાજ દ્વારા સમાજના હિત માટે મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વાત કરીએ તો બનાસકાંઠાના ઓગાડમાં આગામી ૪ જાન્યુઆરીએ ઠાકોર સમાજનુ ભવ્ય મહાસંમેલન યોજાવા જઇ રહ્યું છે. જે આયોજન પૂર્વે મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી નિર્ણય લેવાયો છે. સમાજની યોજાયેલી મહત્વની બેઠકમાં સામાજિક કુરિવાજો પર રોક લગાવવા તેમજ દેખાડા અને ફિજુલ ખર્ચને અંકુશમાં લેવા માટે ૧૬ નવા નિયમો સાથેનું નવું સામાજિક બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે.

સમાજના ઉત્થાન માટે ઘડાયેલા આ બંધારણમાં લગ્ન, મરણ અને અન્ય પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગોમાં ડીજે વગાડવા અને સનરૂફ ધરાવતી મોંઘી ગાડીઓ લાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત સગાઈ, લગ્ન અને મરણ પ્રસંગોમાં થતા ભપકાદાર ખર્ચને ઘટાડીને તે નાણાં શિક્ષણ પાછળ ખર્ચવા હાકલ કરવામાં આવી છે.
૧૬ નવા નિયમો સાથેનું સામાજિક બંધારણ ઘડવામાં આવ્યું
સગાઈમાં મર્યાદિત સંખ્યા
સગાઈના પ્રસંગમાં વર અને કન્યા પક્ષ તરફથી કુલ મળીને માત્ર ૨૧ વ્યક્તિઓ જ હાજર રહી શકશે.
સગાઈમાં ભેટ તરીકે માત્ર ૧ રૂપિયો રોકડો, નાળિયેર અને એક જોડી કપડાં જ આપવાના રહેશે.
આખા વર્ષમાં માત્ર બે માસ દરમિયાન જ લગ્નપ્રસંગો યોજી શકાશે.
લગ્નમાં જાનની સંખ્યા વધુમાં વધુ ૧૦૦ વ્યક્તિઓ સુધી જ સીમિત રાખવાની રહેશે.
જાનમાં મહત્તમ ૧૧ વાહનો જ લઈ જઈ શકાશે.
જાનની સંખ્યા ગણતી વખતે ૧૦ વર્ષથી ઉપરના તમામ બાળકોને પણ પુખ્ત વ્યક્તિ તરીકે જ ગણવામાં આવશે.
જાનમાં સનરૂફવાળી ગાડીઓ લાવવી કે ગાડીઓની લાંબી કતારો કરી રસ્તો રોકવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
પ્રસંગમાં ડીજે કે મોટા લાઉડસ્પીકરના બદલે માત્ર ૨ ઢોલ અને શરણાઈ વગાડવાની જ પરવાનગી રહેશે.
લગ્ન લખવાની પ્રથા, ઢૂંઢ અને ઓઢમણા જેવી જૂની અને ખર્ચાળ પ્રથાઓ સદંતર બંધ કરવામાં આવશે.
હલદી રસમ પર નિયંત્રણ
હલ્દી રસમ અને તેવા અન્ય ભપકાદાર પ્રસંગો કરવા પર પ્રતિબંધ રહેશે.
જમણવારનું મેનુ
જમણવારમાં વાનગીઓની સંખ્યા મર્યાદિત રાખવી અને મીઠાઈમાં માત્ર એક જ પ્રકારની મીઠાઈ પીરસવી.
મામેરાના નિયમો
મામેરામાં મોંઘા દાગીના લાવવાને બદલે ૧૧,૦૦૦ થી ૧,૫૧,૦૦૦ રૂપિયા સુધીનું રોકડ ઓઢામણું કરવું.
મરણપ્રસંગની સાદગી
મરણપ્રસંગ પછીના ભોજનમાં માત્ર ખીચડી અને કઢી જ બનાવવાની મર્યાદા રાખવી.
જન્મદિવસની ઉજવણી
જન્મદિવસ પાછળ થતો બિનજરૂરી ખર્ચ રોકી, તે રકમ શૈક્ષણિક સંસ્થા અથવા લાઈબ્રેરીમાં દાન કરવી.
નશાબંધી
કોઈપણ સામાજિક કે કૌટુંબિક પ્રસંગમાં દારૂ કે અન્ય કોઈપણ પ્રકારના નશાકારક પદાર્થોના ઉપયોગ પર સખત પ્રતિબંધ રહેશે.
ભાગીને લગ્ન કરનારનો બહિષ્કાર
સમાજ નીતિ-નિયમો વિરુદ્ધ કરેલા મૈત્રી કરાર કે ભાગીને કરેલા પ્રેમ-લગ્નને સમાજ દ્વારા માન્યતા આપવામાં આવશે નહીં. સમાજની મર્યાદા નેવે મૂકીને ભાગીને લગ્ન કરનારા યુગલોને સમાજ ક્યારેય સ્વીકારશે નહીં તેવો કડક ર્નિણય લેવાયો છે. આ બંધારણના ચુસ્ત અમલ માટે તાલુકા અને ગ્રામ્ય સ્તરે સંકલન સમિતિઓની રચના કરવામાં આવશે.
આ બેઠકમાં ખાસ ઉપસ્થિત બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે નવા સામાજિક બંધારણનું વાંચન કર્યું હતું. તેમણે ઉપસ્થિત સમાજના અગ્રણીઓને આ નિયમોનું પાલન કરવા માટેના શપથ લેવડાવ્યા હતા. આ બંધારણ બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણ સહિતના ત્રણ જિલ્લાના ૨૭ તાલુકાઓને લાગુ પડશે.
આ સામાજિક સુધારાની લહેર વચ્ચે આગામી ૪ જાન્યુઆરીએ બનાસકાંઠાના ઓગાડ ખાતે ઠાકોર સમાજનું વિશાળ મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ સંમેલનમાં ૪૦ હજારથી વધુ લોકો એકઠા થવાની સંભાવના છે. દરેક ગામમાંથી ૫૦ થી ૨૦૦ જેટલા આગેવાનોને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે. કાર્યક્રમમાં સાધુ-સંતો, બુદ્ધિજીવીઓ અને વિવિધ સંગઠનોના હોદ્દેદારો હાજરી આપશે.
નોંધનીય છે કે અગાઉ રાધનપુરના મહેમદાવાદ ગામે પણ આ પ્રકારે ખર્ચાળ રિવાજો બંધ કરવાનો ર્નિણય લીધો હતો, જેનાથી પ્રેરાઈને હવે સમગ્ર સમાજ આ દિશામાં આગળ વધી રહ્યો છે.