Last Updated on by Sampurna Samachar
દબાણ હટાવ કામગીરીને પગલે લોકોમાં રોષ
દબાણો દુર કરવા તંત્રની બે ધારી નીતિથી આક્રોશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાભર હાઈવે વિકાસ પથ પર આવેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. કરોડો રૂપિયાના ખર્ચે નવીન બની રહેલા વિકાસ પથ પર અવરોધરૂપ દબાણો દૂર કરવા માટે નગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ દિયોદર તેમજ પોલીસ તંત્રની સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી.

ભાભર ન્યૂ APMC ના ગેટથી ગાય સર્કલ સુઈગામ રોડ સુધી હાઈવે પર આવેલા લારી-ગલ્લા, કેબીનો, દુકાનોના શેડ સહિતના કાચા-પાકા દબાણો હટાવવામાં આવ્યા હતા. રોડની કામગીરીને ધ્યાનમાં રાખી આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.
૨૪ મીટર દબાણ હટાવવાની કોઈ પૂર્વ જાણ કરવામાં આવી નહોતી
જોકે, દબાણ હટાવવાની કાર્યવાહી બાબતે તંત્રની બે ધારી નીતિ હોવાનો આક્ષેપ કરી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. લોકોએ જણાવ્યું હતું કે ૨૪ મીટર દબાણ હટાવવાની કોઈ પૂર્વ જાણ કરવામાં આવી નહોતી.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારી રાખવામાં આવી હતી.
દબાણ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર પાયલબેન દેસાઈએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે અગાઉ રિક્ષા ફેરવી જાહેર જાહેરાત કરવામાં આવી હતી તેમજ દબાણકારોને નોટિસો પણ આપવામાં આવી હતી.