Last Updated on by Sampurna Samachar
પોલીસ સામે પત્ની ગુમ થયાનુ નાટક કરતો રહ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
તેલંગાણામાંથી એક હત્યાની કૂરતાભરી ઘટના સામે આવી છે. તેલંગાણાની રાજધાની હૈદરાબાદને અડીને આવેલા રંગારેડ્ડી જિલ્લામાં એક નિવૃત્ત ફૌજીએ પોતાની પત્નીની હત્યા કરી દીધી. એટલું જ નહીં, આરોપીએ પોતાની પત્નીના શરીરના ટૂકડે-ટૂકડા કરી કર્યા બાદમાં પ્રેશર કુકરમાં બાફ્યા અને પછી તળાવમાં લઈ જઈને ત્યાં ફેંકી દીધા હતાં.

આ કેસમાં પોલીસે આરોપી નિવૃત્ત સૈનિકની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ કાળજુ કંપાવી દેનારી ઘટના રંગારેડ્ડી જિલ્લાના મીરપેટ વિસ્તારમાં બની હતી. આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લાના રહેવાસી આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ હૈદરાબાદમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતા હતા. તે મીરપેટની ન્યૂ વેંકટેશ્વર નગર કોલોનીમાં તેની પત્ની વેંકટ માધવી અને બે બાળકો સાથે રહેતો હતો.
તપાસમાં જાણવા મળ્યું છે કે પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. પતિએ ૧૮ જાન્યુઆરીએ માધવીના પરિવારને તેના ગુમ થવા વિશે જાણ કરી, ત્યારબાદ માધવીના પરિવારે મીરપેટ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી. આ સમય દરમિયાન ગુરુ મૂર્તિએ સંપૂર્ણપણે અજાણ હોવાનો ડોળ કર્યો અને તેમની પત્નીની શોધમાં પણ મદદ કરી હતી.
આ દરમિયાન, પોલીસને ગુરુ મૂર્તિ પર શંકા ગઈ અને જ્યારે તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા અને કડક પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેમણે પોતાનો ગુનો કબૂલી લીધો. નિવૃત્ત સૈનિકે કહ્યું કે તેણે ઝઘડા પછી તેની પત્નીની હત્યા કરી હતી. ત્યારબાદ, શરીરના ટૂકડે ટૂકડા કર્યા અને પ્રેશર કૂકરમાં બાફી નાંખ્યા હતા, બાદમાં તેને તળાવમાં ફેંકી દેવામાં આવ્યા હતા. પોલીસે આરોપી પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.