Last Updated on by Sampurna Samachar
કંટાળીને પરિણીતાનો નદીમાં કૂદવાનો પ્રયાસ, અભયમની ટીમે ઉગારી
છેલ્લા કેટલાક સમયથી પતિની માનસિકતામાં વિકૃતિ આવતા તેણે પત્ની પાસે અઘટીત માંગણીઓ કરવાનું શરૂ કર્યું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરમાં પતિ-પત્નીના પવિત્ર સંબંધોને લાંછન લગાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક ઉચ્ચ શિક્ષિત પરિણીતા તેના પતિની વિકૃત માંગણીઓ અને માનસિક ટોર્ચરથી કંટાળીને જીવન ટૂંકાવવા રિવરફ્રન્ટ પહોંચી હતી. જો કે, ૧૮૧ અભયમ હેલ્પલાઈનની સમયસૂચકતા અને કાઉન્સિલિંગ થકી અભયમની ટીમે મહિલાને ઉગારી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, પીડિત મહિલા ઉચ્ચ અભ્યાસ કરેલી છે અને ૧૦ વર્ષ પહેલા તેણે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના ૫ વર્ષ સુધી સંતાન સુખ ન મળતા દંપતીએ મેડિકલ તપાસ કરાવી હતી, જેમાં પતિ પિતા બનવા માટે સક્ષમ ન હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ ડોક્ટરની ગાઈડલાઈન મુજબ બેબી પ્લાનિંગ કરી હાલ તેમને પાંચ વર્ષનો દીકરો છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી પતિની માનસિકતામાં વિકૃતિ આવતા તેણે પત્ની પાસે અઘટીત માંગણીઓ કરવાનું શરૂ કર્યું હતુ.
પતિ અવારનવાર કુત્રિમ સાધનોનો ઉપયોગ કરી પત્નીને હેરાન કરતો હતો.
મહિલાના જણાવ્યા અનુસાર, થોડા સમય પહેલા જ્યારે તેઓ બહાર ફરવા ગયા હતા, ત્યારે પતિએ તેના મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધવા પત્ની પર દબાણ કર્યું હતું. પતિની વિકૃતિ એટલી હદ વટાવી ગઈ હતી કે તે પોતાની પત્નીને અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધતા જોઈને ખુશી અનુભવવા માંગતો હતો. આ દરમિયાન મહિલાએ મજબૂરીમાં ત્રણ વખત સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં ઘરે આવ્યા બાદ પણ પતિ એવી ઈચ્છા રાખતો કે પત્ની તેની સામે એવું વર્ણન કરે કે ટ્રાવેલિંગ દરમિયાન કોઈએ તેની સાથે છેડછાડ કરી શારીરિક સંબંધ બાંધ્યો હોય.
પતિના ત્રાસથી કંટાળી મહિલા જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ પર આત્મહત્યા કરવા ગઈ, ત્યારે તેના જીમ ટીચરનો ફોન આવ્યો હતો. જીમ ટીચરે તેને ઈમોશનલ સપોર્ટ આપી પરત બોલાવી હતી. જીમ ટીચરના પણ છૂટાછેડા થયા હોવાથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જો કે, બાદમાં આ મિત્ર (જીમ ટીચર) પણ મહિલાને મેન્ટલી ટોર્ચર કરવા લાગ્યો હતો અને જૂની ઘટનાઓ યાદ અપાવી હેરાન કરતો હતો. મહિલાને સમજાયું કે તે એક મુસીબતમાંથી નીકળી બીજી મુસીબતમાં ફસાઈ ગઈ છે.
જ્યારે મહિલાએ આ મિત્રથી છૂટકારો મેળવવા ૧૮૧ અભયમની મદદ લીધી, ત્યારે તે મિત્રએ બંનેના અંગત ફોટા સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દીધા હતા. અભયમની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી કાયદાકીય પગલાં ભરતા તે વ્યક્તિએ તમામ ફોટા ડિલીટ કરી દીધા હતા અને ભવિષ્યમાં હેરાન ન કરવાની લેખિત બાહેધરી આપી હતી.
અભયમની ટીમે સમગ્ર મામલાની ગંભીરતા જોઈ મહિલાના પતિને પણ સમજાવવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નિષ્ણાતોના મતે પતિની આ પ્રકારની વર્તણૂક ગંભીર માનસિક બીમારીના લક્ષણો હોઈ શકે છે, તેથી તેનું સાયકિયાટ્રિક કાઉન્સિલિંગ કરાવવું ખૂબ જ જરૂરી હોવાનું જણાવી મહિલાને આગળની કાર્યવાહી માટે સલાહ આપવામાં આવી છે.