Last Updated on by Sampurna Samachar
ટીમ ઇન્ડિયાની જીત બાદ સિરાજે કર્યો ખૂલાસો
ભારતની જીતમાં મોહમ્મદ સિરાજની મહત્વની ભૂમિકા રહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ક્રિકેટ ટીમે ICC T20 વિશ્વકપમાં જીત સાથે શરૂઆત કરી છે. પરંતુ આ મેચમાં સૂર્યકુમાર યાદવ સિવાય ભારતના બધા બેટરો ફ્લોપ રહ્યાં હતા. એક સમયે ભારતે ૭૭ રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. સૂર્યકુમારની ઈનિંગની મદદથી ભારતીય ટીમ ૧૬૦ રન બનાવવામાં સફળ રહી હતી. ભારતની આ જીતમાં મોહમ્મદ સિરાજે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. મોહમ્મદ સિરાજનું આ પ્રદર્શન ખાસ છે કારણ કે તે ટીમમાં સામેલ નહોતો, પરંતુ અચાનક એક કોલ આવ્યો અને સિરાજના તમામ અન્ય પ્લાન રદ્દ થઈ ગયા હતા.

ટીમ ઈન્ડિયાની જીત બાદ સૂર્યાને શ્રેય આપવામાં આવી રહ્યો છે, જેનો તે હકદાર છે, પરંતુ સિરાજે બધાનું દિલ જીતી લીધું છે. હકીકતમાં સિરાજ ટી૨૦ વિશ્વકપની ટીમમાં સામેલ નહોતો. પરંતુ હર્ષિત રાણા ઈજાગ્રસ્ત થતાં સિરાજને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. અમેરિકા સામે મેચ પહેલા જસપ્રીત બુમરાહ બીમાર હોવાને કારણે સિરાજને મેચ રમવાની પણ તક મળી. જો આ બધુ ન થયું હોત તો સિરાજનો પ્લાન વેકેશન પર જવાનો હતો અને તે સ્પેન જઈ પોતાની પસંદગીની ફુટબોલ ક્લબ રિયલ મેડ્રિડની મેચ જોવાનો હતો.
સિરાજે ૪ ઓવરમાં ૨૯ રન આપી ત્રણ વિકેટ લીધી હતી
ટીમ ઈન્ડિયાની જીત બાદ સિરાજે ખુલાસો કર્યો કે કઈ રીતે ૨ દિવસ પહેલા કેપ્ટન સૂર્યાના એક ફોન કોલે બધુ બદલી નાખ્યું. ભારતીય બોલરે કહ્યુ, ‘‘સૂર્યાએ કહ્યુ- મિયાં બેગ પેક કરો અને આવી જા. મેં તેને કહ્યું ભાઈ મજાક ન કરો કારણ કે આ થવાનું નથી. પરંતુ તેણે કહ્યું- હું સાચુ કહું છું રેડી થઈ જાય. ત્યારબાદ ઓઝા ભાઈનો કોલ આવ્યો. ૧૫ ફેબ્રુઆરીએ રિયલ મેડ્રિડની એક મેચ છે, તે હું જોવા જવાનો હતો અને પછી રમઝાન હતો પરંતુ આ બધુ ઉપરવાળાએ લખ્યું છે.
મેચની વાત કરીએ તો વાનખેડે સ્ટેડિયમમાં ભારતે અમેરિકાને ૨૯ રને હરાવ્યું છે. આ જીતનો હીરો સૂર્યકુમાર રહ્યો, જેણે ૭૭ રન પર છ વિકેટ પડ્યા બાદ સ્કોર ૧૬૧ સુધી પહોંચાડ્યો હતો. કેપ્ટને ૪૯ બોલમાં ૮૪ રનની શાનદાર ઈનિંગ રમી હતી. ત્યારબાદ સિરાજે પોતાની શરૂઆતી ૨ ઓવરમાં અમેરિકાને બે ઝટકા આપી બેકફૂટ પર ધકેલી દીધું હતું. અંતમાં અમેરિકાની ટીમ ૧૩૨ રન બનાવી શકી હતી. સિરાજે ૪ ઓવરમાં ૨૯ રન આપી ત્રણ વિકેટ લીધી હતી.