Last Updated on by Sampurna Samachar
કોંગ્રેસે બંધારણમાં ખૂબ જ ર્નિલજ્જતાથી ઘણા સુધારા કર્યા : અમિત શાહ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય બંધારણના ૭૫ વર્ષના ગૌરવવંતા ઈતિહાસ પર રાજ્યસભામાં ચર્ચામાં ભાગ લેતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે જો બંધારણ વાંચવાના ચશ્મા વિદેશી હોય તો ભારતીયતા ક્યારેય નહીં આવે. તે બંધારણમાં દેખાય છે. તેમણે કહ્યું કે બંધારણે લોકશાહીના મૂળને મજબૂત કર્યા છે. સત્તાનું ટ્રાન્સફર લોહીના એક પણ ટીપાના વહેણ વગર થયું. કોંગ્રેસ પર પ્રહાર કરતા શાહે કહ્યું કે કોંગ્રેસે બંધારણમાં ખૂબ જ ર્નિલજ્જતાથી ઘણા સુધારા કર્યા છે.
દેશના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નહેરુ દ્વારા કરાયેલા પ્રથમ બંધારણીય સુધારાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ ત્યારે મૂળભૂત અધિકાર સાથે છેડછાડ કરીને અભિવ્યક્તિની સ્વતંત્રતા છીનવી લીધી. તેમણે આરોપ લગાવ્યો કે જ્યારે પણ કોંગ્રેસે બંધારણમાં સુધારો કર્યો ત્યારે સામાન્ય લોકોના મૂળભૂત અધિકારો છીનવાઈ ગયા. અમિત શાહે કહ્યું કે દેશની જનતાએ લોકતાંત્રિક રીતે અનેક સરમુખત્યારોના અભિમાન અને ઘમંડને દૂર કરવાનું કામ કર્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે ૭૭ વર્ષમાં ભાજપે ૧૬ વર્ષ આ દેશમાં શાસન કર્યું. આ સમયગાળા દરમિયાન અમે ૨૨ વખત બંધારણમાં સુધારો કર્યો પરંતુ ૫૫ વર્ષમાં કોંગ્રેસે ૭૭ વખત બંધારણમાં ફેરફાર કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે મતબેંકની રાજનીતિ કરવા માટે ક્યારેક બંધારણમાં ફેરફાર કર્યો છે, ક્યારેક ઘમંડમાં તો ક્યારેક મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે.
બંધારણની સુંદરતાના વખાણ કરતા શાહે કહ્યું કે ગીતા રામાયણના ચિત્રો બંધારણમાં મોજૂદ છે. બંધારણમાં શિવાજી અને લક્ષ્મીબાઈના ચિત્રોનો ઉલ્લેખ છે. આટલું હોવા છતાં, જો તમને સંદેશ કેવી રીતે લેવો તે ખબર નથી, તો પછી બંધારણ બદલવાથી શું થશે? રાહુ ગાંધી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે ૫૬ વર્ષની ઉંમરે એક વ્યક્તિ પોતાને યુવા ગણાવે છે અને બંધારણ બદલવાનો અવાજ ઉઠાવતો ફરે છે. પરંતુ તેઓ નથી જાણતા કે આ જોગવાઈ બંધારણની કલમ ૩૮૮માં જ છે. પરંતુ તમે તમારા પોતાના ફાયદા માટે બંધારણમાં ફેરફારો કર્યા પરંતુ અમે જનતાના લાભ માટે બંધારણમાં ફેરફાર કરી રહ્યા છીએ.