Last Updated on by Sampurna Samachar
પોલીસ કર્મચારીઓએ ફસાયેલા તમામ ૮,૦૦૦ પ્રવાસીઓને બચાવી લીધા
મનાલી DSP એ આપી જાણકારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવા વર્ષની ઉજવણી વચ્ચે હિમાચલ પ્રદેશ લોકોનું સૌથી પ્રિય પર્યટન સ્થળ બન્યું છે. ત્યારે હમણાં તાજી હિમવર્ષાને કારણે હિમાચલ બરફથી ઢંકાઈ ગયુ છે. પરિણામે પ્રવાસીઓના પ્રવાહમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે હિમાચલના શિમલા, કુલ્લુ, મનાલી વગેરે શહેરોમાં લાંબા ટ્રાફિક જામ થાય છે. એટલું જ નહીં સ્થિતિ એવી બની કે કુલ્લુના ધુંડી અને મનાલી-લેહ હાઈવે પર અટલ ટનલના ઉત્તરી અને દક્ષિણ દરવાજા પર લગભગ ૧,૫૦૦ વાહનો બરફમાં ફસાઈ ગયા.

આ વાહનોને દૂર કરવા માટે એક મોટું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. હિમવર્ષાને કારણે રસ્તાઓ ખતરનાક રીતે લપસણો બની ગયા હતા. જેના કારણે લાંબો ટ્રાફિક જામ થયો હતો અને ઘણા પ્રવાસીઓ તેમના વાહનોમાં રાતોરાત ફસાયા હતા. ઘણા ફસાયેલા પ્રવાસીઓ મેદાનોમાંથી તેમની પોતાની કાર અથવા ટેક્સીમાં મુસાફરી કરી રહ્યા હતા અને તેમને બરફીલા રસ્તાઓ પર વાહન ચલાવવાનો કોઈ અનુભવ નહોતો. બરફના વધતા જતા સંચયને કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી. જેના કારણે ટ્રાફિક જામ અને અવરજવરમાં સમસ્યા સર્જાઈ હતી. કેટલાક પ્રવાસીઓ તેમના વાહનોમાં રાતોરાત થીજી જતા તાપમાનમાં ફસાઈ ગયા હતા અને અનુભવને “ભયાનક” ગણાવતા હતા. ૮ હજાર લોકોને બચાવી લેવાયા હતા. ત્યારે મનાલી DSP કેડી શર્માએ જણાવ્યું હતું કે, ‘ બપોરે ૨ વાગ્યે શરૂ થયેલ બચાવ કામગીરી આખી રાત ચાલુ રહી, જેમાં પોલીસ કર્મચારીઓએ લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે ઝીરોથી નીચેના તાપમાનમાં અથાક મહેનત કરી.
બીજા દિવસે સવાર સુધીમાં તમામ વાહનોને બહાર કાઢવામાં આવ્યા હતા અને ફસાયેલા તમામ ૮,૦૦૦ પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. ભારે હિમવર્ષાને કારણે મનાલી-લેહ હાઈવે પર વાહનોની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી, જેના કારણે મુસાફરોને વિલંબ અને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમજ વાહન સ્લીપ થવાથી ૪ લોકોના મોત થયા હતા. હિમાચલ પ્રદેશના શિમલા અને મનાલીમાં તાપમાન શૂન્યથી એક ડિગ્રી નીચે ગયું છે. હવામાન પરિસ્થિતિઓએ આ શહેરોને પ્રવાસીઓ માટે ક્રિસમસ અને નવા વર્ષની રજાઓનો આનંદ માણવા માટે સંપૂર્ણ પ્રવાસન સ્થળો બનાવ્યા છે.
તેમજ સતત હિમવર્ષા પ્રવાસીઓ માટે ખુશીઓથી ભરપૂર હોઈ શકે છે પરંતુ તેનાથી હાઈવે પર અકસ્માતો અને ઘટનાઓનું જોખમ પણ વધી ગયું છે. મીડિયા અહેવાલો અનુસાર હિમાચલ પ્રદેશમાં વાહન સ્લીપ થવાને કારણે અલગ-અલગ અકસ્માતોમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત ઓછામાં ઓછા ૨૨૩ રસ્તાઓ બંધ થઈ ગયા છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી. અટારી અને લેહ વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ, કુલ્લુ જિલ્લાના સાંજથી ઓટ, કિન્નૌર જિલ્લામાં ખાબ સંગમ અને લાહૌલ-સ્પીતિ જિલ્લાના ગ્રમ્ફૂ સહિત લગભગ ૨૨૩ રસ્તાઓ ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યા છે.