Last Updated on by Sampurna Samachar
લાયકાત ધરાવતા લોકો સાથે થઈ રહ્યો છે અન્યાય
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUI ના કાર્યકર્તાઓ ગુજરાત યુનિવર્સિટીમાં જોબ ટ્રેનિમાં થતા ગડબડ ગોટાળા બાબતે આવેદન સાથે ઉગ્ર રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં આક્ષેપ કર્યો હતો કે યુનિવર્સિટીમાં પોતાના લાગતા વળગતા મળતીયાઓને જ નોકરી આપવામાં આવે છે. ખરેખર લાયકાત ધરાવતા લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે. મોટા પ્રકારનું ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જેવા આવેદન સાથે યોગ્ય તપાસ કરી આવા લાગતા વળગતા લોકોને નોકરીમાંથી બરખાસ્ત કરી લાયકાત ધરાવનાર લોકોને નોકરી આપવામાં આવે અને ખાલી પડેલી જગ્યાઓમાં નવી ભરતી મૂકવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
NSUI કાર્યકર્તા વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીનાં વિવિધ વિભાગોની અંદર ૩૦૦ થી વધારે લોકો જોબ ટ્રેની તરીકે ફરજ બજાવે છે. છતાં પણ કુલપતિ દ્વારા કોઈ યોગ્ય ર્નિણય લેવાતો નથી, છેલ્લા ૩ વર્ષનું જોઇએ તો જોબ ટ્રેનીની અંદર જે વર્ષોથી ચાલી આવતા લોકો છે એ જ લોકો છે. એનું મુખ્ય કારણ એ છે કે જે તે વિભાગના વડા હોય, એ જે નક્કી કરે છે, જેમનું નામ આપે છે એમનું જ નામ ફાઇનલ કરવામાં આવે છે. જેથી આમાં મોટા પ્રમાણમાં સેટિંગ થયેલું હોય એવું અમને દેખાય છે.
NSUI એ માંગણી કરતા કહ્યું હતું કે તાત્કાલિક ધોરણે આ આવી રીતે ગડબડ કરનારા તમામ લોકોની મંજૂરી રદ કરવામાં આવે અને આવનાર દિવસોની અંદર એક કમિટીની રચના કરી અને જે લોકો જોબ ટ્રેની લેવાના છે. એની અંદર એમની લાયકાત જોઈ, એમનું ઇન્ટરવ્યૂ લઈ અને પછી નોકરી આપવામાં આવે, જેથી સામાન્ય અને મધ્યમ વર્ગનાં વિદ્યાર્થીઓ પણ અહીંયા નોકરી કરી શકે અને તેને રોજગાર મળી રહે.