Last Updated on by Sampurna Samachar
૨૬૬૬ ગામોમાં નવા પંચાયત ભવન અને તલાટી આવાસ બનશે
પંચાયત ઘર કમ તલાટી આવાસ’ યોજનાનું ઈ-ખાતમુહૂર્ત કરાયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે બે મહત્ત્વના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે. આણંદ જિલ્લાના ભાદરણ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યની કુલ ૨૬૬૬ ગ્રામ પંચાયતો માટે નવા ‘પંચાયત ઘર કમ તલાટી આવાસ’ યોજનાનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રોજેક્ટ અંતર્ગત દરેક ગ્રામ પંચાયતને પોતાનું આધુનિક પંચાયત ભવન મળશે, જેમાં તલાટી માટે આવાસની વ્યવસ્થા પણ હશે. પરિણામે ગ્રામ્ય વહીવટ વધુ કાર્યક્ષમ બનશે તેમજ નાગરિકોને સરકારી સેવાઓ એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ થશે.આ સાથે જ ગામડાંમાં શહેરી સ્તરની સુવિધાઓ પહોંચાડવાના ઉદ્દેશ સાથે ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’નું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે.
ગામડાના માળખાગત સુવિધાઓનો વિકાસ કરાશે
આ યોજના હેઠળ ગામડાંમાં રસ્તા, પીવાનું પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ, જાહેર સુવિધા કેન્દ્રો સહિતની માળખાગત સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે. રાજ્ય સરકારનું માનવું છે કે આ બંને યોજનાઓ ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે, ગ્રામજનોનું જીવનસ્તર ઉંચું લાવશે અને શહેર-ગામ વચ્ચેનો વિકાસનો અંતર નોંધપાત્ર રીતે ઘટાડશે.
પંચાયત ભવન પ્રોજેક્ટની મુખ્ય વિગતો
રાજ્યમાં વહીવટી કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા માટે પંચાયત ભવનોનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે:
કુલ ખર્ચ: રૂ. ૬૬૩ કરોડ.
સંખ્યા: ૨૬૬૬ ગામોમાં નવા ભવનોનું નિર્માણ થશે.
સુવિધા: આ ભવનોમાં પંચાયત ઘરની સાથે તલાટી માટે આવાસની પણ વ્યવસ્થા હશે, જેથી સ્થાનિક સ્તરે સરકારી સેવાઓ વધુ સરળતાથી મળી રહે.
ભવિષ્યનું લક્ષ્ય: રાજ્ય સરકાર આગામી સમયમાં કુલ ૧૦,૦૦૦ થી વધુ આધુનિક ‘ગ્રામ સચિવાલય‘ બનાવવાનું આયોજન ધરાવે છે.
‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ શું છે?
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મોટા ગામડાંમાં શહેરો જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.
પ્રથમ તબક્કો: રાજ્યના એવા ૧૧૪ ગામો (જે તાલુકા મથક છે પણ નગરપાલિકા નથી) ને આ યોજનામાં આવરી લેવાયા છે.
મળનારી સુવિધા: રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પીવાનું પાણી, ગટર-સ્વચ્છતા, સોલાર સ્ટ્રીટ લાઈટ, ઈ-ગ્રામ સેન્ટર અને કોમ્યુનિટી હોલ.
બીજો તબક્કો: આગામી સમયમાં ૧૦,૦૦૦ થી વધુ વસ્તી ધરાવતી તમામ પંચાયતોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે.
ગ્રામીણ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કારણ સરકારના જણાવ્યા અનુસાર, શહેરો પર વસ્તીનું ભારણ વધી રહ્યું છે. જો ગામડાઓમાં જ રોજગારી અને આધુનિક સુવિધાઓ (શિક્ષણ, આરોગ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર) મળી રહે, તો શહેરીકરણના દબાણને સંતુલિત કરી શકાય છે. આ પ્રોજેક્ટ દ્વારા ગ્રામ્ય અને શહેરી વિકાસ વચ્ચેનો તફાવત ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે પંચાયત મંત્રી ઋષિકેશ પટેલ સહિત અન્ય મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા છેવાડાના ગામો સુધી વહીવટી તંત્રની પહોંચ મજબૂત કરવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે.