દિવાળી નહીં પણ દશેરા પહેલાં જીએસટીમાં સુધારાની શક્યતા

Share this Article:

Last Updated on by Sampurna Samachar

GST સ્લેબ ૫ ટકા અને ૧૮ ટકા કરવાનો પ્રસ્તાવ

૩-૪ સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે યોજાશે બેઠક

(સંપૂર્ણ સમાચાર સેવા)

કેન્દ્ર સરકારની જીએસટીના સ્લેબમાં ઘટાડો કરવાની ભેટ દિવાળી નહીં પણ દશેરામાં મળી શકે તેવી શક્યતાઓ જીએસટી કાઉન્સિલ દ્વારા વ્યક્ત થઈ છે. આ મામલે હાલ ડ્રાફ્ટ તૈયાર થઈ રહ્યો છે. જો ડ્રાફ્ટ સંપૂર્ણપણે યોગ્ય રહ્યો તો આગામી બેઠકમાં જ જીએસટીમાં સુધારો જાહેર કરવામાં આવશે. જીએસટી કાઉન્સિલની ૫૬મી બેઠક ૩-૪ સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે યોજાવાની છે.

જીએસટી કાઉન્સિલના એક અધિકારીએ જણાવ્યું હતું કે, જીએસટીમાં સુધારો કરવાના પ્રસ્તાવ પર કામગીરી શરૂ થઈ ચૂકી છે. રાજ્યો સાથે આ મામલે ચર્ચા-વિચારણા પૂર્ણ થઈ છે. જેથી કેન્દ્ર સરકાર વિજયા દશમી (૨ ઓક્ટોબર) સુધીમાં જીએસટીના નવા દરો રજૂ કરી શકે છે. જો પ્રક્રિયા યોગ્ય સમયે પૂર્ણ થઈ તો તેનો અમલ દશેરા સુધીમાં થઈ શકે છે.

આ નુકસાન ટૂંકાગાળાનું હોવાની શક્યતા

ગ્રુપ ઓફ મિનિસ્ટર્સએ ૨૦-૨૧ ઓગસ્ટના રોજ દિલ્હી ખાતે જીએસટીમાંથી ૧૨ ટકા અને ૨૮ ટકાનો સ્લેબ દૂર કરવાની ભલામણ પર બેઠક કરી હતી. આ બેઠકમાં જીએસટી સ્લેબ ચારથી ઘટાડી બે કરવા મંજૂરી આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી જીએસટીમાં સુધારો કરવાની જાહેરાત કરી હતી. તેમણે આ દિવાળીએ પ્રજાને જીએસટીમાં રાહતની ભેટ આપવાનું વચન આપ્યું હતું. જેના ભાગરૂપે નાણા મંત્રાલયે જીએસટી સ્લેબ ૫ ટકા અને ૧૮ ટકા કરવાનો પ્રસ્તાવ જીએસટી કાઉન્સિલ સમક્ષ રજૂ કર્યો હતો. જેમાં લકઝરી ગુડ્સ પર ૪૦ ટકા જીએસટીની પણ ભલામણ થઈ હતી. હાલ જીએસટીના ચાર સ્લેબ ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકા લાગુ છે. જેમાંથી ૧૨ ટકા અને ૨૮ ટકાનો સ્લેબ દૂર કરવા ભલામણ થઈ છે.

જીએસટી સ્લેબમાં ઘટાડો કરવાથી ૧૨ ટકા અને ૨૮ ટકાના સ્લેબમાં સામેલ ચીજવસ્તુઓ અને સેવાઓને  ૫ ટકા અને ૧૮ ટકાના સ્લેબમાં આવરી લેવામાં આવશે. જેમાં ૧૨ ટકાના સ્લેબમાં સામેલ ૯૯ ટકા ગુડ્સ એન્ડ સર્વિસને ૫ ટકા જ્યારે ૨૮ ટકાના સ્લેબમાં સામેલ ૯૦ ટકા ચીજવસ્તુઓને ૧૮ ટકાના સ્લેબમાં આવરી લેવામાં આવશે. આ પગલાંથી જીએસટી વધુ સુલભ બનશે તેમજ તેનું વ્યાપક નિયમન થઈ શકશે.

જીએસટીમાં સુધારાથી સરકારની તિજોરીને રૂ. ૪૦૦૦૦ કરોડનું નુકસાન થવાની સંભાવના છે. ફિટમેન્ટ કમિટી આ ખાધની ભરપાઈ માટે ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે. કેન્દ્ર અને રાજ્યો બંને સાથે મળી આ સમસ્યાનો ઉકેલ લાવશે. પ્રસ્તાવિત જીએસટી સુધારાથી ટેક્સ સિસ્ટમને વધુ સરળ અને પારદર્શક બનાવશે. વધુમાં સરકારને થતું આ નુકસાન ટૂંકાગાળાનું હોવાની શક્યતા ઘણા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.