Last Updated on by Sampurna Samachar
નવેસરથી માંગણીપત્રકો મળ્યા બાદ નવી જાહેરાતો કરાશે
અગાઉ કૃષિ વિભાગે ૧૪૪ જગ્યાઓ રદ કરી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સરકારી નોકરીની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે ગાંધીનગરથી નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. GPSC એ વર્ગ ૧-૨ ની બે ભરતીઓ કરી રદ કરવામાં આવતાં સરકારી નોકરીની તૈયારીઓ કરતાં ઉમેદવારોમાં નીરાશા વ્યાપી જવા પામી છે.
ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકની નાયબ કમિશનર, કુટીર ઉદ્યોગ સેવા, વર્ગ-૧ (જા.ક. ૧૧૬/૨૦૨૪-૨૫) ની કુલ-૦૧ જગ્યા અને મદદનીશ કમિશનર, કુટીર ઉદ્યોગ સેવા, વર્ગ-૨ (જા.ક. ૧૧૭/૨૦૨૪-૨૫) ની કુલ-૦૨ જગ્યા પર ભરતી માટે આયોગ દ્વારા ૧ ફેબ્રુઆરીએ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
GPSC એ બંને જાહેરાતો રદ કરી
ભરતી નિયમોમાં સુધારાની તેમજ બંને સંવર્ગોના રોસ્ટર પ્રમાણિત કરવાની કાર્યવાહી ચાલુ હોઈ GPSC એ બંને જાહેરાતો રદ કરી છે. વિભાગ દ્વારા પ્રસ્તુત જગ્યાઓના નવેસરથી માંગણીપત્રકો મળ્યા બાદ નવી જાહેરાતો પ્રસિદ્ધ કરવામાં આવશે. જે અંગે સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ થોડા દિવસો પહેલાં કૃષિ વિભાગે ૧૪૪ જગ્યાઓ રદ કરી હતી.
રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા વેર હાઉસ નિગમની ૧૪૪ જગ્યાઓ રદ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. વર્ગ-૩ અને વર્ગ-૪ આ જગ્યાઓ પર ભરતી કરવાને બદલે હયાત જગ્યાઓ રદ કરવામાં આવી છે. આ સમાચારથી સરકારી નોકરીની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારોમાં નિરાશા વ્યાપી જવા પામી છે.
ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ નિગમ દ્વારા રજૂ થયેલા દરખાસ્ત પર વિચારણા બાદ આ નિયમનું અમલ થશે. કૃષિ અને સહકાર વિભાગના સચિવે જણાવ્યું કે આ પગલું વિભાગની કાર્યક્ષમતા અને કાર્યક્ષેત્રની સુધારણા માટે મહત્વપૂર્ણ છે.