Last Updated on by Sampurna Samachar
1 ઑક્ટોબર, ૨૦૨૪ના રોજ PM E-Drive સ્કીમ શરુ
ઈલેક્ટ્રિક વાહનો પર હજુ ૨ વર્ષ સુધી મળશે સબસિડી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રિક વાહનોની ખરીદીને પ્રોત્સાહન આપવા શરુ કરેલી PM ઈ-ડ્રાઇવ સ્કીમની સમય મર્યાદા લંબાવી છે. ભારે ઉદ્યોગ મંત્રાલયે PM ઈ-ડ્રાઇવ રિવોલ્યુશન ઇન ઇનોવેટિવ વ્હિકલ એન્હાન્સમેન્ટ સ્કીમ વધુ બે વર્ષ સુધી લંબાવી છે. જેની નવી સમય મર્યાદા ૩૧ માર્ચ, ૨૦૨૮ છે. જોકે, આ સ્કીમ હેઠળ ઈલેક્ટ્રિક ટુ વ્હિલર્સ અને થ્રી વ્હિલર્સ માટે અપાતી સબસિડીમાં સમય મર્યાદા લંબાવવામાં આવી નથી. તેના પર મળતી સબસિડી ૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ પૂર્ણ થઈ જશે. જ્યારે આ એક્સ્ટેન્શનનો લાભ માત્ર ઈલેક્ટ્રિક બસો, ટ્રકો અને એમ્બ્યુલન્સને મળશે. ભારે કેટેગરીના ઈ-વાહનો પર માર્ચ, ૨૦૨૮ સુધી સબસિડી મળશે.

સરકારે ૧ ઑક્ટોબર, ૨૦૨૪ના રોજ PM E-Drive સ્કીમ શરુ કરી હતી. રૂ. ૧૦૯૦૦ કરોડની આ સ્કીમનો લાભ આગામી માર્ચ, ૨૦૨૬ સુધી મળવાનો હતો. જે લંબાવી હવે માર્ચ, ૨૦૨૮ કરવામાં આવ્યો છે. જેનો સીધો લાભ ઈલેક્ટ્રિક વાહનો ખરીદતાં લોકોને થશે. PM E-Drive સ્કીમ ઈ વાહનોની ખરીદીમાં વધારો કરે છે. જે ગ્રાહકોને સબસિડી આપવા ઉપરાંત પબ્લિક ચાર્જિંગ ઇન્ફ્રા, ટેસ્ટિંગ ફેસિલિટી, અને ઈલેક્ટ્રિક વ્હિકલ ટૅક્નોલૉજીને પ્રોત્સાહન આપે છે.
એક્સ-શોરૂમ ભાવના ૧૫ ટકા સુધી મર્યાદિત
૭ ઑગસ્ટના રોજ જારી કરાયેલા મંત્રાલયના જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે આ યોજના ઈલેક્ટ્રિક વાહનો અપનાવવા, ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરવા અને સ્થાનિક ઈફ ઉત્પાદનના વિકાસને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે. એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી અમલમાં રહેલી ઈલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ ૨૦૨૪ ( EMPS -૨૦૨૪)ને પણ PM ઈ-ડ્રાઇવમાં સમાવવામાં આવી છે.
આ યોજનાનો ઉદ્દેશ ૪૦ લાખથી વધુ વસ્તી ધરાવતા ૯ મુખ્ય ભારતીય શહેરોમાં લગભગ ૨૪.૮ લાખ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર, ૩.૨ લાખ ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલર અને ૧૪,૦૦૦થી વધુ ઈલેક્ટ્રિક બસોને સબસિડી આપવાનો છે. આ ઉપરાંત, ઈલેક્ટ્રિક ટ્રક અને એમ્બ્યુલન્સ માટે અનુક્રમે રૂ. ૫૦૦ કરોડ સુધીની સહાયની જોગવાઈ કરવામાં આવી છે.
ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ખરીદનારાઓ નાણાકીય વર્ષ ૨૦૨૫માં રૂ. ૫,૦૦૦ પ્રતિ kWh અને નાણાકીય વર્ષ ૨૦૨૬માં રૂ. ૨,૫૦૦ પ્રતિ સબસિડી મેળવી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, જો તમારા વાહનની બેટરી 1kWH ની છે, તો તમને આ વર્ષે રૂ. ૫,૦૦૦ અને આવતા વર્ષે રૂ. ૨,૫૦૦ની સબસિડી મળી શકે છે.
જોકે, તેની મહત્તમ મર્યાદા વાહનના એક્સ-શોરૂમ ભાવના ૧૫ ટકા સુધી મર્યાદિત છે. વાહન સબસિડી ઉપરાંત, આ યોજના ફોર-વ્હીલર માટે ૨૨,૦૦૦ ઈફ પબ્લિક ચાર્જર અને ઇલેક્ટ્રિક બસો માટે ૧,૮૦૦ ચાર્જર સ્થાપિત કરવા તેમજ ભારે ઉદ્યોગ મંત્રાલય હેઠળ વાહન પરીક્ષણ માળખાને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.