Last Updated on by Sampurna Samachar
બાબા બર્ફાનીના કપાટ ૩ જુલાઈએ ખૂલશે જે ૯ ઓગસ્ટ સુધી ચાલશે
શ્રદ્ધાળુઓના રહેવા, ભોજન અને સુરક્ષાની વ્યવસ્થા કરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બાબા બર્ફાનીના ભક્તો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. જે આ વર્ષે અમરનાથ યાત્રાની તારીખો જાહેર કરવામાં આવી છે. અમરનાથ શ્રાઈન બોર્ડની બેઠકમાં ર્નિણય લેવામાં આવ્યો હતો કે, અમરનાથ યાત્રા ૩ જુલાઈથી શરૂ થશે અને ૯ ઓગસ્ટ સુધી ચાલશે. આ વખતે યાત્રાને સરળ અને સુરક્ષિત બનાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. શ્રદ્ધાળુઓના રહેવા, ભોજન અને સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે.
ગયા વર્ષની જેમ આ વખતે પણ યાત્રા માટે ઓનલાઈન અને ઓફલાઈન બન્ને રીતે રજિસ્ટ્રેશનની સુવિધા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે એટલે કે ૨૦૨૪માં પવિત્ર અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન ૧૭ એપ્રિલથી શરૂ થયું હતું, આ વખતે પણ આવી જ પ્રક્રિયા અપનાવવામાં આવશે.
શ્રદ્ધાળુઓ માટે વિશ્વાસ અને સુવિધાઓ વધારાશે
અમરનાથ શ્રાઈન બોડના અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિન્હાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં જમ્મુ-કાશ્મીરના DGP નલિન પ્રભાત, મુખ્ય સચિવ અટલ ઠુલ્લુ સહિત અન્ય ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. બેઠકમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે, સરકાર દ્વારા સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવશે અને શ્રદ્ધાળુઓ માટે વિશ્વાસ અને સુવિધાઓ વધારવામાં આવશે.
કેન્દ્ર સરકારે પવિત્ર અમરનાથ ગુફા સુધી બાલટાલથી રોપ-વે બનાવવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ સમગ્ર દેશમાં ૧૮ ધાર્મિક અને પર્યટન સ્થળો પર રોપવેના નિર્માણના વ્યાપક કાર્યક્રમનો એક ભાગ છે. આ સમયે ભક્તો ૩૮ કિલોમીટર લાંબા પહેલગામ માર્ગ અથવા ૧૩ કિલોમીટરના મુશ્કેલ બાલટાલ માર્ગ સુધી પગપાળા યાત્રા કરી ભગવાન શિવના પવિત્ર હિમલિંગના દર્શન કરે છે. પરંતુ રોપ-વે બન્યા બાદ યાત્રા સરળ બની જશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રસ્તાવિત રોપ-વે ૧૧.૬ કિલોમીટર લાંબો હશે, જે સરકારની ૧૮ યોજનાઓમાં સૌથી મોટો હશે. આ ટ્રેકિંગ, હેલિકોપ્ટર, ખચ્ચર અને પાલકી જેવી પરંપરાગત પ્રણાલીઓ માટે આર્થિક અને સુવિધાજનક વિકલ્પ સાબિત થશે.