Last Updated on by Sampurna Samachar
આગમાં દાઝી જવા અને ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે મોત થયાના અહેવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાઝિયાબાદ લોનીના કંચન પાર્ક કોલોનીથી એક મોટા સમાચાર સામે આવ્યા હતા. જ્યાં એક ઘરમાં આગ લાગવાના કારણે ૩ બાળકો સહિત એક મહિલાનું મોત નિપજ્યું છે. આગમાં દાઝી જવા અને ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે ચારેયના મોત થયા હોવાની માહિતી મળી હતી. જે સમયે અકસ્માત થયો, તે સમયે ઘરમાં ૮ લોકો હાજર હતાં. બાકી લોકોનું રેસક્યૂ કરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, હજુ સુધી આગ લાગવાનું કારણ સામે નથી આવ્યું.
મળતી માહિતી મુજબ, ત્રણ માળના ઘરમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગી હતી. પરંતુ, આગ એટલી વિકરાળ હતી કે, તે બીજા-ત્રીજા માળ સુધી પહોંચી ગઈ હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ આગ મોડી રાત્રે લાગી હતી. પરંતુ, ઘરમાં હાજર લોકોને તેના વિશે જાણ ન થતાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે ઘરમાં હાજર ચાર લોકોનું ધુમાડામાં શ્વાસ રૂંધાવાના કારણે મોત થઈ ગયું હતું.
નોંધનીય છે કે, પરિવારના ૪ લોકોના મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમમાં મોકલી પોલીસ દ્વારા આગ લાગવાના કારણ વિશે તપાસ હાથ ધરવામાં આવી છે. આ સિવાય અન્ય ૪ લોકો હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ફાયર બ્રિગેડના અધિકારી રાહુલ પાલના જણાવ્યા અનુસાર, સૂચના મળતા જ અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ, આગ પર કાબૂ મેળવી લેવાયો છે. મોડી રાત્રે આગ લાગી હતી અને મકાનમાં સૂતેલા લોકોને તેની જાણ ન થતાં તેઓ આગની લપેટમાં આવી ગયા હતાં. ૪ લોકો મૃત હાલતમાં મળ્યા છે અને અન્ય ચાર થોડા દાઝી ગયા છે. હાલ, ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.