લોન અને રોકાણ સોદામાં લગભગ ૬૦ કરોડ રૂપિયાની છેતરપિંડી મામલો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પોલીસે જાહેર કરી લુક આઉટ નોટિસ

બંને તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી

(સંપૂર્ણ સમાચાર સેવા)

અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુન્દ્રા સાથે સંબંધિત એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈ પોલીસે હવે અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ ૬૦ કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસમાં લુકઆઉટ નોટિસ જાહેર કરી છે.

આ કેસમાં વધુ માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ આ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યો છે, કારણ કે આ દંપતી ઘણીવાર આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરે છે. તેમણે જણાવ્યું કે અભિનેત્રી અને તેના પતિ વિરુદ્ધ ૧૪ ઓગસ્ટના રોજ જુહૂ પોલીસ સ્ટેશનમાં એક ઉદ્યોગપતિ સાથે લોન અને રોકાણ સોદામાં લગભગ ૬૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો.

શિલ્પા, રાજ અને એક અજાણી વ્યક્તિ સામે FIR  દાખલ

લુકઆઉટ સર્ક્યુલર એ એક સિસ્ટમ છે જેનો ઉપયોગ વ્યક્તિને દેશ છોડતા અટકાવવા અથવા તેની પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે થાય છે, સામાન્ય રીતે ઇમિગ્રેશન અને સરહદ નિયંત્રણ પોસ્ટ્સને ચેતવણીઓ જાહેર કરવામાં આવ્યો છે. લુકઆઉટ સર્ક્યુલર જાહેર થયા પછી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા દેશ છોડી શકશે નહીં. હાલમાં આ મામલે બંને તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પોલીસ તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં બંનેને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.

વાસ્તવમાં જુહૂ સ્થિત ઉદ્યોગપતિ દીપક કોઠારીએ આરોપ લગાવ્યો છે કે શિલ્પા અને રાજે ૨૦૧૫ થી ૨૦૨૩ દરમિયાન તેમની સાથે ૬૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. દીપકનો દાવો છે કે આ રકમ કંપનીના વિસ્તરણ માટે લેવામાં આવી હતી, પરંતુ તેનો ઉપયોગ વ્યક્તિગત ખર્ચ માટે કરવામાં આવ્યો હતો.

કોઠારીનો આરોપ છે કે શિલ્પા અને રાજે શરૂઆતમાં ૧૨ ટકા વાર્ષિક વ્યાજે ૭૫ કરોડ રૂપિયાની લોન માંગી હતી પરંતુ બાદમાં કર બચાવવા માટે તેને રોકાણ તરીકે બતાવવાની સલાહ આપવામાં આવી હતી. કોઠારીએ એપ્રિલ ૨૦૧૫માં ૩૧.૯૫ કરોડ રૂપિયા અને સપ્ટેમ્બર ૨૦૧૫માં ૨૮.૫૩ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, જે બેસ્ટ ડીલ ટીવીના બેન્ક ખાતામાં જમા કરવામાં આવ્યા હતા.

દીપક કોઠારી કહે છે કે એપ્રિલ ૨૦૧૬માં શિલ્પા શેટ્ટીએ લેખિત વ્યક્તિગત ગેરન્ટી આપી હતી કે રકમ ચોક્કસ સમયમાં ૧૨ ટકા વ્યાજ સાથે પરત કરવામાં આવશે. પરંતુ થોડા મહિના પછી સપ્ટેમ્બર ૨૦૧૬માં શિલ્પાએ કંપનીના ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું. તેમને પાછળથી ખબર પડી કે ૨૦૧૭માં કંપની સામે ૧.૨૮ કરોડ રૂપિયાનો નાદારીનો કેસ પણ ચાલી રહ્યો છે, જેના વિશે તેમને અગાઉ જાણ કરવામાં આવી ન હતી.

કેસ ૧૦ કરોડ રૂપિયાથી વધુનો હોવાથી તેને જુહુ પોલીસ સ્ટેશનમાંથી EOW ને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પોલીસે શિલ્પા, રાજ અને એક અજાણી વ્યક્તિ સામે IPC ની કલમ ૪૦૩ (મિલકતનો અપ્રમાણિક દુરુપયોગ), ૪૦૬ (વિશ્વાસનો ગુનાહિત ભંગ) અને ૩૪ (સામાન્ય હેતુ) હેઠળ કેસ નોંધ્યો છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.