Last Updated on by Sampurna Samachar
બસમાં બેઠેલા બાળકોમાં ભય અને ગભરાટ ફેલાઈ ગયો
બસ એક વીજપોલ સાથે અથડાઈને અટકી ગઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
હળવદ તાલુકાના રણમલપુર નજીક એક અત્યંત ગંભીર અને ચિંતાજનક દુર્ઘટના સર્જાવાની હતી, પરંતુ સદનસીબે એક મોટો અનર્થ થતો અટકી ગયો. કચ્છના નાના રણની મુલાકાત પૂરી કરી પરત ફરી રહેલી હળવદની વિવેકાનંદ સ્કૂલની બસ અચાનક મુસાફરી દરમિયાન દુર્ઘટનાનો ભોગ બની હતી. બસ ચાલી રહી હતી ત્યારે અચાનક તેનો એક ટાયર બહાર નીકળી જતા ડ્રાઈવરનું નિયંત્રણ છૂટી ગયું હતું. આ સમયે બસમાં ધોરણના માસૂમ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો મળી કુલ ૫૨ જેટલા લોકો સવાર હતા, જેમાંથી ૪૭ જેટલા બાળકો હતા.

ટાયર છૂટતા જ બસ રસ્તાની એક બાજુ ઝૂકવા લાગી હતી અને પલટી ખાવાની ભયજનક સ્થિતિ ઊભી થઈ હતી. બસમાં બેઠેલા બાળકોમાં ભય અને ગભરાટ ફેલાઈ ગયો હતો અને ચીસાચીસ મચી ગઈ હતી. જોકે, ઈશ્વરી કૃપા સમાન ઘટનામાં બસ નજીક આવેલા એક વીજપોલ સાથે અથડાઈને અટકી ગઈ હતી. આ વીજપોલના મજબૂત ટેકાના કારણે બસ સંપૂર્ણપણે પલટી ખાતા બચી ગઈ અને અનેક પરિવારોએ મોટો શોક અનુભવવાનો ટળ્યો હતો.
સદનસીબે મોટી દુર્ઘટના ટળી
આ ઘટનામાં વધુ એક આશ્ચર્યજનક અને રાહતરૂપ બાબત એ હતી કે બસ વીજપોલ સાથે અથડાઈ હોવા છતાં કોઈને પણ શોર્ટ લાગ્યો નહોતો કે વીજ પ્રવાહથી ઈજા પહોંચી નહોતી. તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા હતા, જે સૌ માટે ચમત્કાર સમાન લાગ્યું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ખૂબ જ સંયમપૂર્વક તમામ વિદ્યાર્થીઓને બસમાંથી બહાર કાઢી સુરક્ષિત સ્થળે લઈ ગયા હતા.
પ્રવાસના આનંદ વચ્ચે સર્જાયેલા આ ગંભીર અકસ્માતે શાળા સંચાલકો દ્વારા કરવામાં આવતી સ્કૂલ બસની જાળવણી, ફિટનેસ અને સલામતીની વ્યવસ્થાઓ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. બસના ટાયર અને ટેક્નિકલ ચેકિંગ અંગે બેદરકારી તો નથી ને? તેવો પ્રશ્ન હવે વાલીઓ અને સ્થાનિક લોકો ઉઠાવી રહ્યા છે. હાલ તમામ બાળકો સંપૂર્ણપણે સુરક્ષિત હોવાના સમાચાર મળતા વાલીઓએ હાશકારો અનુભવ્યો છે, પરંતુ આવી ઘટના ફરી ન બને તે માટે કડક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકાઈ રહ્યો છે.