Last Updated on by Sampurna Samachar
છેલ્લા પાંચ વર્ષથી અવારનવાર લેખિત અને મૌખિકમાં કરી રહ્યા છે રજૂઆત
૧૦૦ ભૂતપૂર્વ સૈનિકોએ પક્ષ છોડ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતના માજી સૈનિકો તેમની પડતર માંગણીઓને લઈને છેલ્લા પાંચ વર્ષથી અવારનવાર લેખિત અને મૌખિકમાં સરકારને રજૂઆત કરી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી માજી સૈનિકો ગાંધીનગરમાં એકઠા થઈને આંદોલન પર ઉતર્યા છે. તેવામાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતા માજી સૈનિક સેવા ફાઉન્ડેશન ગુજરાતના અધ્યક્ષ જીતેન્દ્ર નિમાવત સહિત ૧૦૦ જેટલાં ભાજપમાં જોડાયેલા માજી સૈનિકોએ પોતાનું રાજીનામું ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને સોંપ્યું છે.
માજી સૈનિક સેવા ફાઉન્ડેશન ગુજરાતના અધિકૃત લેટરહેડમાં જણાવ્યું છે કે, સમસ્ત ગુજરાતના માજી સૈનિકો દ્વારા વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ તથા લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ભાજપ પક્ષ માટે પુરા દિલથી ઉમદા કામગીરી કરીને પાર્ટીને વિજયમાં મોટા ફાળો આપ્યો. પરંતુ સરકારે અમારી મહેનતને અવગણીને અમારા પ્રશ્નોનો હજુ સુધી નિકાલ કરવામાં આવ્યો નથી.
જો સરકાર અમારું ના સાંભળતી હોય તો સામાન્ય જનતાનું શું સાંભળે?
માજી સૈનિકોએ જણાવ્યું કે, અમે બહોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી સાથે જાેડાયા હોવા છતાં માજી સૈનિકોના કલ્યાણ માટેના નિયમો તથા જાહેરનામાઓ થયેલા છે, એ નિયમોનું પાલન સરકાર દ્વારા ના કરાવી શકતા હોય અને જો સરકાર અમારું ના સાંભળતી હોય તો સામાન્ય જનતાનું શું સાંભળે? એટલે હવે તમામ માજી સૈનિકોએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપવાનો ર્નિણય લીધો છે.