Last Updated on by Sampurna Samachar
બાળ સંરક્ષણ વિભાગે દાદી અને પૌત્રને સરકારી સરંક્ષણમાં લીધા
દીકરો ગુમ થઇ ગયો ને વહુનુ મૃત્યુ થઇ ગયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓડિશાના મયૂરભંજ જિલ્લાના મોરડા બ્લોકના બલદિયા ગામના રહેવાસી એક ૬૫ વર્ષિય વિધવા મંદ સોરેન પાસે ન તો ઘર છે, ન જમીન, ન કોઈ સરકારી મદદ. તેમના પતિનું નિધન પહેલા જ થઈ ચુક્યું હતું. તેમનો દીકરો પણ ક્યાંક જતો રહ્યો અને વહુનું મૃત્યુ થઈ ગયું છે. ત્યારે આવા સમયે મંદ સોરેન પોતાના ૭ વર્ષના પૌત્રને લઈને રાસગોવિંદપુર બ્લોકના રાયપાલ ગામમાં પોતાની બહેનના ઘરે રહેતા હતા.

મંદ સોરેને ભિખ માગીને પોતાના પૌત્રનું લાલન પાલન કરતા હતા, પણ વધતી ઉંમર અને નબળાઈના કારણે તેની યોગ્ય રીતે દેખરેખ રાખી શકતા નહોતા. મજબૂરીમાં તેમણે એક અજાણ્યા વ્યક્તિને ૨૦૦ રુપિયામાં પૌત્ર વેચી દીધો. જેથી સારી રીતે તે રહી શકે, તેને ભરપેટ ભોજન મળે અને સારો ઉછેર થાય.
મેં બાળકને વેચ્યું નથી , તેના સારા ઉછેર માટે આ કર્યું
સ્થાનિક પંચાયત સમિતિના સભ્યને આ મામલાની જાણકારી મળી. તેમણે પ્રશાસનને સૂચના આપી, જે બાદ રાસગોવિંદપુર પોલીસ એક્ટિવ થઈ અને બાળકને બચાવીને તેને ચોકીએ લઈ આવી. ખબર મળતા જ બાળ સંરક્ષણ વિભાગ અને રાસગોવિંદપુરના CDPO અધિકારી પોલીસ સ્ટેશને પહોંચ્યા અને દાદી પૌત્રને સરકારી સંરક્ષણમાં લઈ લીધા.
બાળ સંરક્ષણ વિભાગના અધિકારીએ જણાવ્યું કે, ઘટનાની જાણકારી મળતા જ અમે રાયપાલ ગામ પહોંચ્યા. જ્યાં અમને જાણવા મળ્યું કે, પોલીસે તેમને બોલાવી લીધા છે. ત્યારબાદ અમે પોલીસ સ્ટેશને પહોંચ્યા અને અમે વૃદ્ધ મહિલા સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, મેં બાળકને વેચ્યું નથી, પણ તેને ભણાવવા સારી રીતે રહેવા માટે બીજા દંપત્તિને સોપ્યું હતું. કારણ કે મારી એટલી હૈસિયત નથી.