Last Updated on by Sampurna Samachar
ધાર્મિક કાર્યક્રમની ખુશી માતમમાં ફેરવાઇ
મંત્રીએ લોકોને સાવચેત રહેવાની સલાહ આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
તેલંગાણાના ર્નિમલ જિલ્લાના બસરમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ગોદાવરી નદીમાં નહાવા પડેલા પાંચ યુવકોના ડૂબ જવાથી મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. પાંચેય યુવકો એકજ પરિવારના હોવાનું જણાય છે, જેઓ હૈદરાબાદના ચિંતલના રહેવાસી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને યુવકોના મૃતદેહને પીએમ અર્થે ભૈંસા સરકારી હોસ્પિટલ ખાતે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગોદાવરી નદી કિનારે સરસ્વતી માતાનું પ્રચીન મંદિર આવેલું છે. બાળકોને ભણાવતા પહેલા અહીં તેમને અક્ષરાભિષેક માટે લાવવામાં આવે છે. એવી માન્યતા છે કે, બાળકોના જીવનનો પહેલો અક્ષર અહીં લખાવાથી તેમનું શૈક્ષણિક જીવન હંમેશા માટે સફળ રહે છે. આ કારણે હૈદરાબાદના ૩ પરિવારોના ૧૮ સદસ્ય આ ધાર્મિક કાર્યક્રમમાં આવ્યા હતા.
તમામ યુવકો ૨૦ વર્ષથી ઓછી ઉંમરના
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મંદિરમાં દર્શન પહેલાં યુવકો ધાર્મિક વિધિના ભાગરૂપે ગોદાવરી નદીમાં પવિત્ર સ્નાન કરવા ગયા હતા. નદીની ઊંડાણ વાળીએ જગ્યાએ પહોંચી જવાથી એક જ પરિવારના ૫ યુવકો નદીમાં ડૂબ્યા હતા. આ દુર્ઘટનામાં હૈદરાબાદના રાકેશ, વિનોદ, મદન, રુતિક અને ભરત નામના પાંચેયના ડૂબવાથી મોત નીપજ્યા છે. બધા યુવકો ૨૦ વર્ષથી ઓછી ઉંમરના હતા.
સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોએ પોલીસને જાણ કરીને યુવકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઉપરવાસમાં તાજેતરમાં થયેલા વરસાદને કારણે નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો હોવાથી પાંચેય યુવકો ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. જ્યારે તરવૈયાઓની મદદથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.
પરિવહન અને બીસી કલ્યાણ મંત્રી પોન્નમ પ્રભાકરે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, આ ઘટનામાં ૫ યુવાનોના મૃત્યુના સમાચારથી તેમને દુ:ખ થયું. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મંત્રીએ નદીઓ અને સિંચાઈ પ્રોજેક્ટ્સની મુલાકાત લેતા લોકોને સાવચેત રહેવાની સલાહ આપી. તેમણે અધિકારીઓને જળાશયો, નદીઓ અને પ્રોજેક્ટ્સ પર બોર્ડ લગાવવાનો પણ નિર્દેશ આપીને લોકોને ચેતવણી આપી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, એક અઠવાડિયા પહેલા જયશંકર ભૂપાલપલ્લી જિલ્લામાં મેડિગડ્ડા બેરેજમાં ૬ યુવાનો ડૂબી ગયા હતા.