Last Updated on by Sampurna Samachar
નૉન-બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓને આપી સૂચના
રોકડ અને લોન જોખમોનું કડક મૂલ્યાંકન અને સંચાલન કરવું જરૂરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નાણામંત્રી ર્નિમલા સીતારમણે નૉન-બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓને ગ્રાહકોને લોન આપવા માટે આક્રમક અભિગમ ન અપનાવવા અને વ્યાજ દર વાજબી રાખવા ચેતવણી આપી છે. આ સાથે જ તેમણે નાણાકીય શોષણ ન કરવાની અપીલ કરી છે. નાણામંત્રીએ નૉન-બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓ (NBFC) ને ભારતીય રિઝર્વ બેંકના લોન વસૂલીના ધોરણોનું કડક પાલન કરવા પણ વિનંતી કરી છે.

ર્નિમલા સીતારમણે કહ્યું કે, નાણાકીય સમાવેશના નામ પર નાણાકીય શોષણ ન કરી શકાય. લોન ગ્રાહકોની વાસ્તવિક જરૂરિયાતો અને તેને ચૂકવવાની તેમની ક્ષમતા પર આધારિત હોવી જોઈએ. લોન આપવા માટે આક્રમક રીતે માર્કેટિંગ ન કરવું જોઈએ અથવા તેને વ્યક્તિઓ પર થોપવી ન જોઈએ.
દેશમાં NBFC ની સંખ્યા લગભગ ૯,૦૦૦
હપ્તા વસૂલી પ્રક્રિયા ન્યાયી, સહાનુભૂતિપૂર્ણ અને સન્માનજનક રીતે થવી જોઈએ અને તે RBI નિયમો પ્રમાણે હોવી જોઈએ. તેમણે NBFC ને કહ્યું કે, લોનની વસૂલી તમારા કામનો હિસ્સો છે, પરંતુ અસંવેદનશીલ રહેવું તમારા કામનો હિસ્સો નથી. તમને જણાવી દઈએ કે દેશમાં NBFC ની સંખ્યા લગભગ ૯,૦૦૦ છે.
નાણામંત્રીએ આગળ કહ્યું કે, જેમ-જેમ NBFC મોડેલ પરિપક્વ થાય છે, તેમ-તેમ રિસ્ક મેનેજમેન્ટ પર ધ્યાન વધારવું જોઈએ. સીતારમણે NBFC ને કહ્યું કે, રિસ્ક ઉઠાવવું આયોજિત અને ડેટા પર આધારિત હોવું જોઈએ અને સંબંધિત સંસ્થાના જોખમ સહન કરવાની ક્ષમતા કરતાં ક્યારેય વધુ ન હોવું જોઈએ.
રોકડ અને લોન જોખમોનું કડક મૂલ્યાંકન અને સંચાલન કરવું જોઈએ. મજબૂત આંતરિક નિયંત્રણ વ્યવસ્થાથી સંપત્તિ-જવાબદારીની વચ્ચે અંતર, ફંડ સોર્સની પ્રકૃતિ અને સમયગાળાની દેખરેખ સુનિશ્ચિત થવી જોઈએ.
નાણામંત્રીએ વધુમાં કહ્યું કે હાલમાં કોમર્શિયલ બેન્કો દ્વારા આપવામાં આવતી કુલ લોનમાં તેનો હિસ્સો લગભગ ૨૪% છે અને ટાર્ગેટ ૫૦% સુધી પહોંચવાનો હોવો જોઈએ. NBFC હવે શેડો બેન્ક નથી. તેનું મજબૂત નિયમન અને દેખરેખ નાણાકીય વ્યવસ્થા અને અર્થતંત્રમાં તેમના મહત્વનો શ્રેષ્ઠ પુરાવો છે. જેમ-જેમ ભારત આગળ વધશે, તેમ-તેમ ભવિષ્યની લોન જરૂરિયાતોને પૂર્ણ કરવામાં NBFC મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.