Last Updated on by Sampurna Samachar
આ બજેટ કૂલ ૫૩ લાખ કરોડ રૂપિયાથી વધુનું
બજેટ મધ્યમમ વર્ગીય લોકો માટે નિરાશાજનક હોવાની ચર્ચા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નાણામંત્રી ર્નિમલા સીતારમણે દેશનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ કૂલ ૫૩ લાખ કરોડ રૂપિયાથી વધુનું છે. આ બજેટમાં મીડલ ક્લાસ લોકો માટે નિરાશાજનક રહ્યું છે. આ વર્ષે બજેટમાં ઈનકમ ટેક્સ સ્લેબમાં ફેરફારની અને ટેક્સમાં વધુ છૂટની લોકોને આશા હતી, પરંતુ તે પૂરી થઈ નથી.

ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરાયો નથી. એટલે કે નવા ઈનકમ ટેક્સ માળખા અંતર્ગત ૧૨ લાખ રૂપિયાની વાર્ષિક આવક પર જે ટેક્સ છૂટ મળે છે, તેમાં કોઈ વધુ રાહત નથી અપાઈ. તેમજ ટેક્સ ફાઈલ કરતી વખતે ખોટી માહિતી આપનારાને ટેક્સની રકમ જેટલો જ દંડ કરવાનો પ્રસ્તાવ આ બજેટમાં મૂકવામાં આવ્યો છે.
ભારતની વૈશ્વિક ભૂમિકાને કેન્દ્રમાં રાખી જાહેરાતો કરાઇ
નવી ટેક્સ સિસ્ટમમાં PPF, NPS અને ELSS જેવી યોજનાઓ પર રોકાણ પર ટેક્સમાં છૂટ મળવાની આશા હતી, પરંતુ એ આશા પણ ઠગારી સાબિત થઈ છે. આ ઉપરાંત ખેડૂતોને પણ બજેટમાં નિરાશા હાથ લાગી છે. પીએમ કિસાન યોજનાનું બજેટ વધવાની આશા હતી, પરંતુ તેમાં કોઈ વધારો કરાયો નથી. બજેટમાં માત્ર રેલ કોરિડોરની જ જાહેરાત કરાઈ છે, પરંતુ સીનિયર સિટીઝન માટે કોઈ મોટી જાહેરાતની આશા હતી, તેવું થયું નથી.
આ બજેટે શેરબજારનો મોટો ઝટકો આપ્યો છે. F&O ટ્રેડર્સ માટે ટ્રાન્જેક્શન ચાર્જ વધારી દેવાયો છે. જ્યારે લોંગટર્મ કેપિટલ ઘેન ટેક્સ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેન ટેક્સમાં કોઈ ફેરફાર નથી કરાયો, જેને લઈને માર્કેટમાં મોટો કડાકો બોલી ગયો હતો.
બજેટમાં ભારતમાં બનતી વસ્તુઓ પર કસ્ટડ ડ્યૂટી ઘટાડવાની વાત કરાઈ છે. લેધર, ટેક્સટાઈલનું એક્સપોર્ટ પણ હવે ડ્યૂટી ફ્રી થશે. તેના પર કસ્ટમ ડ્યૂટી ઘટાડાશે. ડિફેન્સ સેક્ટરમાં બેઝિક કસ્ટમ ડ્યૂટીમાં છૂટ અપાશે. તેમાં વ્યક્તિગત ઉપયોગ માટે આયાત કરાતી વસ્તુઓ પર લાગતા ટેરિફને ૨૦ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરવાની જાહેરાત કરાઈ છે.
બજેટ ૨૦૨૬માં ઈન્ડિયા સેમીકન્ડક્ટર મિશન ૨.૦ની જાહેરાત કરાઈ છે. આ મિશન માટે બજેટમાં ૪૦,૦૦૦ કરોડની ફાળવણી કરાઈ છે. ઈન્ડિયા સેમીકન્ડક્ટર મિશન ૨.૦ ચીન અને વિયેતનામ જેવા દેશોની સરખામણીએ ભારતને એક ચિપ બનાવનારા હબ તરીકે સ્થાપિત કરશે.
આ બજેટમાં વિદેશમાં સ્ટડી માટે જનારા સ્ટૂડન્ટ્સ માટે મોટી જાહેરાત કરાઈ છે. બજેટમાં લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ અંતર્ગત એજ્યુકેશન પર ટેક્સ કલેક્ટેડ એટ સોર્સને ૫ ટકાથી ઘટાડીને ૨ ટકા કરવાની જાહેરાત કરી છે. તેનાથી વિદેશમાં પૈસા મોકલતા પરિવારો માટે શરૂઆતનો ખર્ચ ઓછો થઈ જશે, કેમકે એજ્યુકેશન લોન પર કોઈ TCS નથી લાગતો. ટેક્સ લાગ્યા પહેલા અન્ય રેમિટન્સ પર ૧૦ લાખની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટેનું બજેટ રજૂ કરીને દેશની આર્થિક દિશા સ્પષ્ટ કરી છે. આ તેમનું સતત નવમું બજેટ ભાષણ છે અને લગભગ એક દાયકામાં પહેલીવાર રવિવારે સંસદમાં બજેટ રજૂ થયું છે. પોતાના લાંબા બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રીએ ટેક્સ, વિકાસ, ઉત્પાદન, રોકાણ અને ભારતની વૈશ્વિક ભૂમિકાને કેન્દ્રમાં રાખીને અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે.
ખાસ કરીને સરકાર દ્વારા અનેક વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત થતાં સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત મળવાની આશા છે. બજેટ ભાષણનું વિશ્લેષણ કરીએ તો તેમાં સૌથી વધુ વખત ઉપયોગમાં લેવાયેલા શબ્દો સરકારની પ્રાથમિકતાઓને સ્પષ્ટ રીતે દર્શાવે છે. ઉપર આપેલા ગ્રાફિક મુજબ રજૂ કરાયેલા બજેટમાં “India” શબ્દ ૫૮ વખત બોલાયો છે, જે દર્શાવે છે કે આ બજેટનું કેન્દ્રબિંદુ ‘ભારત’ અને દેશની સમૂહ પ્રગતિ છે.
ત્યારબાદ નાણામંત્રી ર્નિમલા સીતારમણ દ્વારા બજેટ ભાષણ દરમિયાન “Tax”શબ્દ ૫૫ વખત બોલવામાં આવ્યા છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે કર પ્રણાલી, કરદાતાઓ અને ટેક્સ સુધારા બજેટના મુખ્ય મુદ્દા રહ્યા છે.
સરકારે કેન્સરના દર્દીઓને મોટી આર્થિક રાહત આપતા ૧૭ જીવનરક્ષક કેન્સર દવાઓ પરની બેઝિક કસ્ટમ ડ્યુટી સંપૂર્ણપણે હટાવી દીધી છે. આ ર્નિણયથી કેન્સરના દર્દીઓ માટે મોંઘી દવાઓ સસ્તી બનશે. આ ઉપરાંત, અન્ય સાત દુર્લભ રોગોની દવાઓ પર પણ આયાત ડ્યુટી માફ કરવામાં આવી છે, જેનાથી મોંઘી સારવાર સામાન્ય લોકો માટે સસ્તી અને સુલભ બનશે.
ભારતને વિશ્વનું નંબર વન ફાર્માસ્યુટિકલ હબ બનાવવાના લક્ષ્ય સાથે રૂ.૧૦,૦૦૦ કરોડના રોકાણ સાથે બાયો-ફાર્મા શક્તિ યોજનાની જાહેરાત કરાઈ છે. જેનો ઉદ્દેશ્ય કેન્સર અને ડાયાબિટીસ જેવી જૈવિક દવાઓનું સ્થાનિક ઉત્પાદન વધારવાનો છે. દેશભરમાં ૧૦,૦૦૦ નવી ક્લિનિકલ ટ્રાયલ સાઇટ્સ બનાવવામાં આવશે. બાયો-ફાર્મા ક્ષેત્રમાં ૩ નવી રાષ્ટ્રીય સંસ્થાઓ સ્થપાશે અને હયાત ૭ સંસ્થાઓને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરાશે.
આગામી પાંચ વર્ષમાં આરોગ્ય ક્ષેત્રે કૌશલ્ય વિકાસ દ્વારા લાખો નોકરીઓ ઊભી કરવામાં આવશે. ૧,૦૦,૦૦૦ સહાયક આરોગ્ય કાર્યકરોને વિશેષ તાલીમ આપવામાં આવશે. ૧,૫૦,૦૦૦ કેર-ગિવર્સ (સંભાળ રાખનારા) તૈયાર કરવામાં આવશે, જે મુખ્યત્વે વૃદ્ધોની સારસંભાળ કરશે. રેડિયોલોજી અને એનેસ્થેસિયા જેવા વિશિષ્ટ વિષયોના શિક્ષણ અને સંસ્થાઓમાં સુધારો કરવામાં આવશે.
દેશમાં મેડિકલ ટુરિઝમને વેગ આપવા માટે ખાનગી ક્ષેત્રના સહયોગથી ૫ મુખ્ય મેડિકલ હબ સ્થાપવામાં આવશે. આ હેલ્થકેર સંકુલમાં આયુષ કેન્દ્રો, ડાયગ્નોસ્ટિક સેન્ટર્સ (તપાસ કેન્દ્રો) અને સારવાર બાદની સારસંભાળ (રિહેબિલિટેશન) જેવી તમામ સુવિધાઓ એક જ છત નીચે મળશે. આ હેલ્થકેર ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે રોજગારીની નવી તકો ઊભી કરશે.
દેશમાં ૩ નવી અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાઓ સ્થાપવામાં આવશે. જામનગરમાં આવેલા WHO ગ્લોબલ સેન્ટરને વધુ મજબૂત બનાવી આયુર્વેદિક ઉત્પાદનોની નિકાસ વધારવામાં આવશે. વિશ્વસ્તરે યોગ અને આયુર્વેદની સ્વીકૃતિ વધારવા પર વિશેષ ભાર મુકાશે.
ઉત્તર ભારતમાં એક નવી રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય સંસ્થાની સ્થાપના થશે. ડિજિટલ પ્રોફેશનલ્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સના માનસિક સ્વાસ્થ્ય માટે વિશેષ કાર્યક્રમો ચલાવવામાં આવશે. જિલ્લા હોસ્પિટલોમાં ઈમરજન્સી અને ટ્રોમા કેરની ક્ષમતામાં ૫૦% વધારો કરવામાં આવશે. રાંચી અને તેજપુરની આરોગ્ય સંસ્થાઓને અપગ્રેડ કરવામાં આવશે અને કૃત્રિમ અંગોના ઉત્પાદન માટે વિશેષ સહાય અપાશે.