Last Updated on by Sampurna Samachar
અમરેલીના સાવરકુંડલા-ખાંભા પંથકમાં પવન સાથે માવઠું
અમરેલીમાં જીક્યાળી, ધજડી, વાંકિયા સહિતના આસપાસના ગામડાઓમાં વરસાદ પડતા રસ્તાઓ ભીના થયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉનાળાની ઋતુમાં ગુજરાતના કચ્છ-સૌરાષ્ટ્ર સહિતના અનેક જિલ્લામાં ૩ એપ્રિલ સુધી ગાજવીજ સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે સાંજે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા સાવરકુંડલા, ખાંભા, ગીર સહિતના પંથકમાં માવઠું થયું છે. અમરેલીના ગીર, ખાંભા, સાવરકુંડલા સહિતના ગ્રામીણ પંથકમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.

જેમાં સાવરકુંડલાના જાબાળ, બાઢડા, મોટા ઝીંઝુડા સહિત સાકરપરા, અભરામપરા ગામમાં માવઠું થયું છે. આ ઉપરાંત, ખાંભાના જીક્યાળી, ધજડી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે.ગરમીની સિઝનમાં અમરેલીના અનેક તાલુકામાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોના આંબા સહિતના પાકને નુકસાની જવાની ભીતિ વર્તાઈ રહી છે. તેમજ તલ, બાજરી, મગફળી સહિતના ઉનાળુ પાકમાં પણ માવઠાની અસર પડી છે.
અમરેલી જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો
ગુજરાતમાં કાળઝાળ ગરમીની વચ્ચે હવામાનમાં ઓચિંતો પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફની અસરને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની આગાહી છે, ત્યારે આજે બપોર બાદ અમરેલીના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલીમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. પરંતુ બીજી તરફ તૈયાર પાકને લઈને ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે.
આજે બપોર બાદ અમરેલી જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. ખાસ કરીને ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં શરૂ થયા હતા.
જીક્યાળી, ધજડી, વાંકિયા સહિતના આસપાસના ગામડાઓમાં વરસાદ પડતા રસ્તાઓ ભીના થયા હતા. ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, આ વરસાદને કારણે કેરી, તલ અને બાજરી જેવા ઉનાળુ પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને કેસર કેરીના પાકને આ માવઠું ભારે પડી શકે તેમ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે હજુ આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારોમાં વરસાદી માહોલ રહી શકે છે.
હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે, માત્ર માર્ચના અંતમાં જ નહીં પરંતુ ૨ અને ૩ એપ્રિલે પણ ફરી એકવાર વરસાદની સંભાવના છે. આમ, સતત થતા આ હવામાન પલટાએ ખેતીવાડી ક્ષેત્રે ચિંતા જગાવી છે. માર્કેટ યાર્ડોમાં પણ ખુલ્લામાં પડેલી જણસીઓને બચાવવા માટે તંત્ર અને ખેડૂતો દોડતા થયા છે.