Last Updated on by Sampurna Samachar
નેતાના ખેતરમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ!
ગોરખધંધાનો મુખ્ય સૂત્રધાર ભાજપ નેતાનો પુત્ર
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટના વિંછીયા તાલુકાના અમરાપુર ગામની સીમમાં આવેલી એક વાડીમાં રાજકોટ રૂરલ પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડા પાડીને નકલી ઈંગ્લિશ દારૂ બનાવતી એક મિનિ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે જે ખેતરમાં આ ગોરખધંધો ચાલતો હતો, તે રાજકોટ જિલ્લા પંચાયતના પીપરડી બેઠકના ભાજપના મહિલા સદસ્ય અને પૂર્વ ઉપપ્રમુખ સવિતાબેન વસાણીનું છે, જેના કારણે રાજકીય ગરમાવો વધી ગયો છે.

પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે અમરાપુર ગામની સીમમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. બાતમીના આધારે પોલીસે સવિતાબેન નાથાભાઈ વસાણીની વાડીમાં આવેલી ઓરડીમાં ઓચિંતા દરોડા પાડ્યા હતા. સ્થળ પર તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે ત્યાં દારૂ બનાવવાની અને પેકિંગ કરવાની સામગ્રી મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી જીતેશ સોલંકી અને પ્રદીપ સાગઠિયા સહિત કુલ ૪ શખ્સોને ઝડપી લીધા હતા, જેમાં બે સગીરનો પણ સમાવેશ થાય છે.
આ ઘટનાએ ગુજરાતમાં દારૂબંધીના અમલીકરણ પર સવાલો ઉભા કર્યા
દરોડા દરમિયાન ત્યાંથી જુદી જુદી બ્રાન્ડની ૨૧૮ બોટલ તૈયાર નકલી દારૂ, ૩૦ લીટર દારૂ બનાવવાનું કેમિકલયુક્ત લિક્વિડ અને પેકિંગ મટિરિયલ મળી આવ્યું હતું. પોલીસે કુલ ૧.૪૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ આખું રેકેટ સંગઠિત રીતે ચલાવવામાં આવતું હતું અને તેમાં રાજસ્થાનનું પણ કનેક્શન ખુલ્યું છે.
આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ રાજસ્થાનના કિશન મારવાડી પાસેથી ટ્રાન્સપોર્ટ મારફતે કેમિકલયુક્ત લિક્વિડ, ખાલી બોટલો અને લેબલ મંગાવતા હતા. ત્યારબાદ ખેતરની ઓરડીમાં બેસીને લિક્વિડમાં પાણી મિક્સ કરી નકલી ઈંગ્લિશ દારૂ તૈયાર કરતા હતા અને તેને બ્રાન્ડેડ બોટલમાં ભરીને વેચતા હતા. આરોપીઓએ કબૂલાત કરી છે કે તેમણે ૪ દિવસ પહેલા જ આ કારસ્તાન શરૂ કર્યું હતું.
પોલીસ તપાસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે આ ગોરખધંધાનો મુખ્ય સૂત્રધાર ભાજપ નેતાનો પુત્ર રણજીત વસાણી છે. જ્યારે પોલીસની રેડ પડી ત્યારે રણજીત પોલીસને જોઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસ હવે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ ગંભીર ઘટના બાદ મહિલા સદસ્યના પતિ અને ભાજપ આગેવાન નાથાભાઈ વસાણીએ બચાવમાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “છેલ્લા ૨૭ વર્ષના ના જાહેર જીવનમાં મારા પર ક્યારેય કોઈ ડાઘ નથી લાગ્યો. આ મારા વિરુદ્ધનું એક રાજકીય ષડયંત્ર છે. જે શખ્સો પકડાયા છે તેમને હું ઓળખતો નથી, તેઓ બહારથી સામાન લાવ્યા હશે. મારો પુત્ર રણજીત એક પ્રસંગમાં હતો, તેને આ રેડ વિશે કોઈ જાણ નહોતી.”
આ ઘટનાએ ફરી એકવાર ગુજરાતમાં દારૂબંધીના અમલીકરણ પર સવાલો ઉભા કર્યા છે. જ્યારે સત્તાધારી પક્ષના નેતાઓના જ સંબંધીઓ આવા કૌભાંડમાં સંડોવાયેલા જોવા મળે, ત્યારે તંત્રની કામગીરી શંકાના દાયરામાં આવે છે. હાલ પોલીસે મુખ્ય આરોપી રણજીતને પકડવા અને રાજસ્થાનના સપ્લાયર સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી છે.