Last Updated on by Sampurna Samachar
ફક્ત હસવા માટે મારે આજે જામીન લેવી પડી
આરોપીને કોકરાઝાર કોર્ટમાંથી જામીન મળ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહિલા IAS અધિકારીની ફેસબુક પોસ્ટ પર પ્રતિક્રિયા આપીને મુશ્કેલીમાં મુકાયેલા એક પુરુષને જામીન મળી ગયા છે. જોકે, આ માટે તેણે સેંકડો કિલોમીટરની મુસાફરી કરવી પડી. વાત જાણે એમ છે કે અધિકારીની એક પોસ્ટ પર કોમેન્ટ કરવામાં આવી હતી, જેના પર તેમણે વાંધો ઉઠાવ્યો હતો. મામલો વધુ વકર્યો અને મહિલા IAS એ પોલીસમાં ફરિયાદ નોંધાવી.
મામલો જાણે એમ છે કે આસામના નલબારી શહેરમાં IAS અધિકારી વર્નાલી ડેકાની પોસ્ટ પર ‘હાહા’ ઇમોજી સાથે પ્રતિક્રિયા આપવાના કેસમાં અમિત ચક્રવર્તી નામના વ્યક્તિને જામીન મળી ગયા છે. સાયબર સ્ટોકિંગ અને વાંધાજનક ટિપ્પણીઓમાં સંડોવાયેલા આરોપીને કોકરાઝાર કોર્ટમાંથી જામીન મળી ગયા છે.
ખાસ વાત એ છે કે આ શરતી જામીન માટે ચક્રવર્તીને ૨૭૩ કિમીનું અંતર કાપવું પડ્યું હતુ. ફરિયાદ બાદ, ચક્રવર્તીને તેમના ઘરથી ૨૭૩ કિમી દૂર કોકરાઝાર કોર્ટમાં પણ સમન્સ પાઠવવામાં આવ્યું હતું. ચક્રવર્તી ઉપરાંત, મહિલા IAS અધિકારીએ નરેશ બરુઆ અને અબ્દુલ સુબૂર ચૌધરી નામના બે અન્ય લોકો સામે પણ ફરિયાદ નોંધાવી હતી.
વર્ષ ૨૦૨૩માં, બરુઆએ IAS અધિકારીની ફેસબુક (FACEBOOK) પોસ્ટ પર ટિપ્પણી કરી હતી, ‘મેડમ, તમે આજે મેકઅપ નહોતો કર્યો?’ ચક્રવર્તીએ આ ટિપ્પણી પર ‘હાહા’ ઇમોજી સાથે પ્રતિક્રિયા આપી. ડેકાએ પણ ટિપ્પણીનો જવાબ આપતા કહ્યું કે ‘તમારી સમસ્યા શું છે?’ ત્યારબાદ તેમણે કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. બાદમાં, ડેકા અને આરોપી વચ્ચેની ચર્ચાના સ્ક્રીનશોટ પણ કોર્ટમાં શેર કરવામાં આવ્યા હતા.
એક અહેવાલ મુજબ, પત્રકારો સાથે વાત કરતી વખતે ચક્રવર્તીએ કહ્યું હતું કે, મેં ખાલી ફેસબુક પોસ્ટ પર પ્રતિક્રિયા આપી હતી અને ફક્ત હસવા માટે મારે આજે જામીન લેવી પડી. મને ખબર નથી કે વર્નાલી ડેકા IAS અધિકારી છે કે ડેપ્યુટી કમિશનર. તેમણે કહ્યું કે ૨૩ જાન્યુઆરીએ પોલીસ સ્ટેશને તેમને ફોન કરીને જાણ કરી કે તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે.
ચક્રવર્તીએ કહ્યું હતું કે, ‘જ્યારે મેં વિગતો માંગી ત્યારે તેમણે મને કંઈ કહ્યું નહીં.’ આ પછી, મારા એક વકીલ મિત્રએ મને કેસ સમજવામાં મદદ કરી. મને સમજાતું નથી કે એક IAS અધિકારીને આટલી નાની બાબતમાં આટલી મોટી કાર્યવાહી કરવાનો સમય કેવી રીતે મળ્યો. તેણે કહ્યું, ‘મારા હાસ્ય પર પ્રતિક્રિયા આપવા બદલ ફેસબુક પર મને હેરાન કરવામાં આવ્યો હતો.’ મેં નરેશ બરુઆ નામના કોઈની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી હતી આ સિવાય મને આ કેસ વિશે કંઈ ખબર નથી.