Last Updated on by Sampurna Samachar
સપાના સાંસદ જયા બચ્ચને આ મુદ્દો રાજ્યસભામાં ઉઠાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાની મિલ્કીપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ દરમિયાન મહિલા મતદારોનો બુરખો ઉઠાવીને તપાસ કરવામાં આવી હોવાનો સમાજવાદી પાર્ટીએ આક્ષેપ કર્યો છે. પાર્ટીએ આ મામલે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી છે. આ ઉપરાંત સપાના સાંસદ જયા બચ્ચને આ મુદ્દો રાજ્યસભામાં ઉઠાવ્યો છે.

જયા બચ્ચને કહ્યું કે, ‘રાષ્ટ્રપતિના અભિભાષણમાં મહિલાઓના સશક્તિકરણની વાત કરવામાં આવી, જે ખૂબ જ સારી વાત છે, પરંતુ તમામ મહિલાઓ સાથે એક જેવો વ્યવહાર થતો નથી, જેમ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં મતદાન કેન્દ્રો પર લાઈનમાં ઉભેલી મહિલાઓનો બુરખો ઉઠાવી-ઉઠાવીને ઓળખ કરવામાં આવી રહી હતી. આવી ઘટના દિલ્હીમાં પણ બની છે અને ત્યાં બુરખો પહેર્યા વગરની મહિલાઓની કોઈ તપાસ ન કરાઈ અને જેણે બુરખો પહેર્યો, તો ઉઠાવીને જોવામાં આવ્યું કે, તમે મહિલા છો કે નહીં.’
અખિલેશ યાદવે એક્સ પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે, પોલીસ મિલ્કીપુર પેટાચૂંટણીમાં મતદારોના ઓળખ કાર્ડની તપાસ કરી રહી છે. તેમણે ચૂંટણી પંચને આ મામલે કાર્યવાહી કરવા અને સંબંધિત અધિકારીઓને દૂર કરવાની માંગ કરી હતી. મિલ્કીપુર બેઠક પર ૫મી ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને પરિણામ ૮ મી ફેબ્રુઆરીએ આવશે. નગીના સાંસદ ચંદ્રશેખર આઝાદે પણ મિલ્કીપુર મુદ્દે પ્રતિક્રિયા આપી અને ભાજપને ઘેરી લીધું.
તેમણે કહ્યું કે, ‘ મિલ્કીપુરમાં ભાજપે લોકશાહીનું ગળું દબાવી દીધું છે. સરકારી તંત્રએ જે રીતે સત્તા સામે ઝુકી ગઈ, મતોને પ્રભાવિત કર્યા, મતદાનમાં વિલંબ કરવો, લોકોને ધમકાવવાનું, લોકોને મતદાન ન કરવા દેવાનું પાપ જેવા કામ ઉત્તર પ્રદેશ સરકારે કર્યા છે. સત્તામાં રહીને તેમને લાગે છે કે તેઓ ક્યારેય નહીં જાય પરંતુ જે રીતે તેઓ લોકતંત્રની હત્યા કરી રહ્યા છે તેનો જવાબ આવનારા સમયમાં જનતા આપશે. આટલા બધા પછી પણ મિલ્કીપુરના પરિણામો ભાજપને પાઠ ભણાવી શકે છે.’