Last Updated on by Sampurna Samachar
ઘરેલું વિવાદમાં પતિએ પત્નીની છરીના ઘા ઝીંકીને કરી હત્યા
ઘટનાની જાણકારી મળતાની સાથે જ આલમગંજ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
તહેવારના દિવસે ઘરમાં ખુશીનો માહોલ હોય છે, ઘરના બધા સભ્યો સાથે બેસીને જૂની વાતોને યાદ કરીને એ દિવસને ખાસ બનાવતા હોય છે. સાથે જમવાનું, સંબંધીના ઘરે મળવા જવાનું અને તહેવારની શુભેચ્છા પાઠવવાની મજા જ કંઈક અલગ હોય છે, પરંતુ કોઈ તહેવાર દરમિયાન ઘરમાં કોઈ ઘટના ઘટે તો ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ જાય છે. પટનામાં પણ કંઈક એવું જ થયું.

ગઈકાલે એટલે કે ૨૧ માર્ચ (શનિવાર)ની સાંજે આલમગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પીરબૈસ માર્કેટ પાસે ઈદના દિવસે એક ભયાનક ઘટના બની હતી. પારિવારિક વિવાદમાં એક યુવાને પોતાની પત્નીની છરીથી હત્યા કરી દીધી. પતિએ પત્નીના પેટ, ગળા અને હાથ પર છરીથી હુમલો કર્યો હતો. ઘટના અંગે જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી હતી.
ચાર વર્ષના બાળકે નજીકમાં રહેતી તેની માસીના ઘરે જઈને આ ઘટનાની જાણ કરી
મળતી માહિતી મુજબ, મોહમ્મદ સોનૂ અને તેની ૨૪ વર્ષીય પત્ની જેબા પરવીન પીરબૈસ માર્કેટ પાસે ભાડાના મકાનમાં રહેતા હતા. શનિવારે સાંજે બંને વચ્ચે ઘરેલું વિવાદ થયો હતો. વિવાદ દરમિયાન સોનૂએ છરીથી જેબા પરવીન પર હુમલો કર્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈને રૂમમાં જ જમીન પર પડી ગઈ હતી. આ પછી સોનૂ રૂમમાંથી બહાર નીકળી ગયો હતો.
જેબાના ચાર વર્ષના બાળકે નજીકમાં રહેતી તેની માસીના ઘરે જઈને આ ઘટનાની જાણ કરી હતી. અવાજ સાંભળી આસપાસના લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ તરત જ ઘાયલ જેબા પરવીનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પરિવારજનોના જણાવ્યા મુજબ, જેબા પરવીનના લગ્ન ચાર વર્ષ પહેલા મોહમ્મદ સોનૂ સાથે થયા હતા. જો કે અચાનક આવી ઘટના બનતા ઘરમાં ચાલી રહેલો ઈદનો ખુશીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો.
ઘટનાની જાણકારી મળતાની સાથે જ આલમગંજ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે NMC મોકલ્યો છે. પોલીસનું કહેવું છે કે, આ ઘટના ઘરેલું વિવાદના કારણે બની છે. ઘટના બાદ પતિ ફરાર છે અને તેની શોધખોળ કરવામાં આવી રહી છે. સાથે જ, ઘટનામાં ઉપયોગ થયેલી છરીની પણ શોધ ચાલી રહી છે.
આલમગંજ પોલીસના જણાવ્યા મુજબ, ઘરની આસપાસના CCTV કેમેરાની મદદથી આરોપી પતિની શોધખોળ કરવામાં આવી રહી છે. પરિવારજનોના નિવેદન બાદ જ ઘટનાના કારણો સ્પષ્ટ થઈ શકશે. પોલીસ દરેક પાસા પર તપાસ કરી રહી છે.