બ્રાસ સિટી જામનગરમાં યુદ્ધના પડઘા

Share this Article:

Last Updated on by Sampurna Samachar

બ્રાસ ઉદ્યોગમાં વપરાતા ભંગારની આયાત પર લાગી બ્રેક

ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયંકર યુદ્ધ અને તણાવપૂર્ણ સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માર્ગો ખરાબ રીતે પ્રભાવિત થયા છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)
જેને સમગ્ર ભારતમાં ‘બ્રાસ સિટી‘ તરીકેની ગૌરવવંતી ઓળખ મળેલી છે, તે જામનગર શહેર પર હાલ વૈશ્વિક યુદ્ધની ઘેરી અને વિપરીત અસરો જોવા મળી રહી છે. ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયંકર યુદ્ધ અને તણાવપૂર્ણ સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માર્ગો ખરાબ રીતે પ્રભાવિત થયા છે.
આ વૈશ્વિક અશાંતિનો સીધો ફટકો જામનગરના જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગને પડ્યો છે. બ્રાસના ઉત્પાદન માટે અત્યંત જરૂરી એવા કાચા માલ એટલે કે બ્રાસના ભંગારની આયાત પર અચાનક જ મોટી બ્રેક વાગી ગઈ છે. વિદેશથી આયાત થતા ભંગારના કન્ટેનરો ભરેલા તમામ શિપ દરિયાની વચ્ચે જ ફસાઈ જવાના કારણે જામનગરમાં ભંગારની ભારે અછત સર્જાવા પામી છે, જેનાથી સમગ્ર ઉદ્યોગજગતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

અંદાજે ૭૦ ટકા જેટલો ભંગાર વિદેશથી કરાય છે  ઈમ્પોર્ટ

આ ગંભીર પરિસ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપતાં જામનગર બ્રાસ ઉદ્યોગ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢીયા જણાવે છે કે, યુદ્ધના કારણે દરિયાઈ માર્ગો પર સુરક્ષાનો મોટો ખતરો ઉભો થયો છે. આ જોખમને ટાળવા માટે સમુદ્ર કિનારે આવતા બ્રાસ ભંગારના તમામ શિપને અધવચ્ચેથી જ રોકી દેવામાં આવ્યા છે અથવા તો તેમને જુબેલ અલી જેવા અન્ય સેફ બંદરો તરફ વાળી દેવામાં આવ્યા છે.
શિપિંગ કંપનીઓ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી ન હોવાથી, માલવાહક જહાજો અટવાઈ ગયા છે. આ અણધારી સ્થિતિના કારણે જામનગરના કારખાનાઓ સુધી પહોંચતો કાચો માલ રાતોરાત અટકી ગયો છે અને ઉદ્યોગકારો ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા છે.
જામનગરના બ્રાસ ઉદ્યોગનું અર્થતંત્ર મહદઅંશે આયાતી ભંગાર પર જ ર્નિભર કરે છે.
આંકડાકીય માહિતી મુજબ, આ ઉદ્યોગને ધમધમતો રાખવા માટે નિયમિત ધોરણે કાયમી આશરે ૬૦૦ થી ૭૦૦ ટન બ્રાસ ભંગારની જંગી જરૂરિયાત રહે છે. આ કુલ જરૂરિયાતમાંથી અંદાજે ૭૦ ટકા જેટલો ભંગાર વિદેશથી ઈમ્પોર્ટ કરવામાં આવે છે, જ્યારે માત્ર બાકીના ૩૦ ટકા જેટલા સ્થાનિક કે અન્ય ભંગાર પર આ ઉદ્યોગ ર્નિભર છે. આટલા મોટા પાયે આયાત પર આધારિત આ ઉદ્યોગમાં જો ૭૦ ટકા કાચા માલનો સપ્લાય અચાનક ખોરવાઈ જાય, તો તેની સીધી અસર ઉત્પાદન અને સપ્લાય ચેઈન પર પડવી સ્વાભાવિક છે.
અત્યારે આ જ કારણસર કારખાનાઓમાં કાચા માલની તીવ્ર ખેંચ ઉભી થઈ છે.
હાલની કપરી પરિસ્થિતિમાં ઉદ્યોગકારો માત્ર એક જ આશાના કિરણ પર નભી રહ્યા છે. અત્યારે જામનગરનો બ્રાસ ઉદ્યોગ માત્ર એ જ કન્ટેનરો પર ર્નિભર છે, જે યુદ્ધની સ્થિતિ વણસી તે પહેલાંથી જ ભારતના અલગ અલગ બંદરો પર આવી પહોંચ્યા છે, અને ત્યાંથી જામનગર આવવા માટે પ્રતીક્ષામાં પડેલા છે. આ સિવાય વિદેશથી આવતા તમામ નવા કન્ટેનરો અને શિપિંગ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે.
બંદરો પર પડેલો આ સીમિત જથ્થો પણ બહુ લાંબો સમય ચાલી શકે તેમ નથી. જો આગામી થોડા દિવસોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પરિસ્થિતિ થાળે નહીં પડે અને નવો માલ નહીં આવે, તો ઉત્પાદકો પાસે કારખાના બંધ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચશે નહીં. જામનગરનો બ્રાસ ઉદ્યોગ પહેલાથી જ કાચા માલના ભાવોમાં સતત થઈ રહેલા ઉછાળા અને મોંઘવારીનો આકરો સામનો કરી રહ્યો હતો. તેમાં હવે આ યુદ્ધરૂપી પડ્યા પર પાટું સમાન સ્થિતિ નિર્માણ પામી છે.
ભંગારની આયાત ફરી એકવાર અનિશ્ચિત સમય માટે બંધ થતા બજારમાં માલની અછત સર્જાઈ છે, જેના પરિણામે બ્રાસ ભંગારના ભાવો આસમાને પહોંચી જવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે. જો  ભાવો આમ જ વધતા રહેશે અને કાચો માલ નહીં મળે, તો જામનગરના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન આ બ્રાસ ઉદ્યોગના પૈડાં સંપૂર્ણપણે થંભી જવાની અટકળોએ જોર પકડ્યું છે, જે હજારો કામદારો અને વેપારીઓની આજીવિકા પર મોટું સંકટ લાવી શકે છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.