Last Updated on by Sampurna Samachar
સુરેન્દ્રનગરમાં બેદરકારીથી ખેડુતને નુકસાન
પાણીની અછતને કારણે પાક ઓછો ઉતરે છે અને ખેતર પરથી પસાર થતી વીજ લાઈનને કારણે પાક બળી જવાની ભીતિ સતાવે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં ચોમાસામાં વધુ વરસાદ થાય અથવા તો માવઠાને કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવાતી હોય છે. પરંતુ આ સિવાય પણ ખેડૂતોને પોતાનો પાક બચશે કે નહીં તેની ચિંતા રાત દિવસ સતાવતી હોય છે. સુરેન્દ્રનગરમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની બેદરકારીને કારણે ખેડૂતને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. વીજ તારથી શોર્ટ સર્કિટ થતાં ખેડૂતને નુકસાન પહોંચ્યું છે.

સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના ગોખરવાડા ગામમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે. વીજ તારથી શોર્ટ સર્કિટ થતાં ઘઉં માટેની ટપક સિંચાઈની પાઈપલાઈન સળગી હતી. જેના કારણે અંદાજે ૩ ખેતરોમાં ૧૨ વીઘા જમીનમાં નુકસાન પહોંચ્યું હતું. બેદરકારી સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ત્રણેય ખેતરોમાં કરેલું ઘઉંનું વાવેતર બળી જતાં ખેડૂત પાયમાલ બન્યો છે. પીજીવીસીએલ તંત્રની બેદરકારી સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.
ખેડૂતોને કહેવું છે કે, દેવુ કરીને ખેતરમાં વાવણી કરીએ છીએ. પાણીની અછતને કારણે પાક ઓછો ઉતરે છે અને ખેતર પરથી પસાર થતી વીજ લાઈનને કારણે પાક બળી જવાની ભીતિ સતાવે છે.વીજ કંપનીની બેદરકારીને કારણે થયેલું નુકસાન કોણ ચૂકવશે તે સૌથી મોટો સવાલ છે. કુદરતી આપદામાં સરકાર સહાય ચૂકવે છે પણ આ પ્રકારે થતું નુકસાન કોણ ચૂકવશે તેવા સવાલો પણ ઉભા થયાં છે.