Last Updated on by Sampurna Samachar
ભારત માટે ગૌરવની ક્ષણ
દિવાળી આપણી સંસ્કૃતિ અને મૂલ્યોની ખૂબ નજીક
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય સંસ્કૃતિના સૌથી મોટા અને મહત્ત્વપૂર્ણ પર્વ દિવાળીને વૈશ્વિક સ્તરે એક મોટી ઓળખ મળી છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કોએ દિવાળીના તહેવારને પોતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ કરી લીધો છે. આ ઐતિહાસિક ર્નિણય દિલ્હી સ્થિત લાલ કિલ્લામાં આયોજિત યુનેસ્કોની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો, જે ભારત માટે એક અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ છે.

આ પ્રથમ વખત છે જ્યારે ભારતમાં યુનેસ્કોની આ પ્રકારની બેઠકનું આયોજન થયું હોય, અને આ જ બેઠકમાં ભારતીય સંસ્કૃતિની ઓળખ એવા દિવાળી પર્વને વૈશ્વિક વિરાસતનો દરજ્જાે આપવામાં આવ્યો છે. જેવી આ જાહેરાત કરવામાં આવી, કે તરત જ બેઠકમાં વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા હતા.
ભારતની કુલ ૧૬ વિરાસતો સામેલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું, “દેશ અને દુનિયાના લોકોમાં ગજબનો ઉત્સાહ છે. દિવાળી આપણી સંસ્કૃતિ અને મૂલ્યોની ખૂબ નજીક છે. તે આપણી સભ્યતાની આત્મા છે. તે જ્ઞાન અને ધર્મનું પ્રતીક છે. યુનેસ્કોની અમૂર્ત વિરાસત સૂચિનો ભાગ બન્યા બાદ દિવાળીને વિશ્વભરમાં વધુ લોકપ્રિયતા મળશે.
હું આશા રાખું છું કે પ્રભુ શ્રીરામના આદર્શો હંમેશા આપણું માર્ગદર્શન કરતાં રહેશે.” દિવાળીના સમાવેશ સાથે, હવે યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક સૂચિમાં ભારતની કુલ ૧૬ વિરાસતો સામેલ થઈ ગઈ છે. આ યાદીમાં આ પહેલાં ગુજરાતના ગરબા, બંગાળની દુર્ગા પૂજા, કુંભ મેળો, યોગ, રામલીલા અને વૈદિક મંત્રોના ઉચ્ચારણ જેવી પરંપરાઓનો સમાવેશ થાય છે.