નાસભાગમાં કુલ ૧૮ લોકોના મોત થયાના અહેવાલ
(સંપૂર્ણસમાચારસેવા)
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મહાકુંભમાં જવા માટે તેમજ અન્ય મુસાફરોની ભીડ વધતાં નાસભાગની દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં મળતી માહિતી અનુસાર નાસભાગમાં નવ મહિલા , ચાર પુરૃષ અને પાંચ બાળકો સહિત ૧૮ લોકોના મોત અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જે અંગે પોલીસે આ ઘટનાની તપાસ કરી સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે.
આ ઘટના અંગે દિલ્હી (DILHI ) પોલીસે કહ્યું કે, ‘બે ટ્રેનના એક સરખા નામ હોવાથી મુસાફરો મૂંઝવણમાં મુકાયા હતા, જેના કારણે નાસભાગ થઈ હતી. ‘પ્રયાગરાજ’ નામથી બે ટ્રેનો હતી. એક પ્રયાગરાજ એક્સપ્રેસ અને બીજી પ્રયાગરાજ સ્પેશિયલ. જ્યાં ‘પ્રયાગરાજ તરફ ચાર ટ્રેનો જવાની હોવાથી રેલવે સ્ટેશન પર ભારે ભીડ જામી હતી. પ્લેટફૉર્મ નંબર- ૧૪ પર પ્રયાગરાજ એક્સપ્રેસ ઉભી હતી. આ દરમિયાન પ્લેટફૉર્મ નંબર ૧૬ પર પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન આવવાની જાહેરાત થયા બાદ ભ્રમ ઉભો થયો હતો. જે મુસાફરો પ્લેટફૉર્મ નંબર ૧૪ પર ન પહોંચી શકયા, તેઓને ભ્રમ થયો કે, તેમની ટ્રેન પ્લેટફૉર્મ નંબર-૧૬ પર આવી રહી છે, જેના કારણે નાસભાગની ઘટના બની.
વધુમાં કહ્યું કે આ બંને ટ્રેનો જુદી જુદી હતી.’ ‘પ્રયાગરાજ તરફ ચાર ટ્રેનો જવાની હતી. આમાંથી ત્રણ ટ્રેનો વિલંબથી દોડી રહી હતી, જેના કારણે રેલવે સ્ટેશન પર ભારે ભીડ થઈ.’ આ પહેલા એવા અહેવાલો સામે આવ્યા હતા કે, રેલવેએ કુંભ માટે ખાસ ટ્રેનની જાહેરાત કરી હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી.
જ્યારે રેલવેએ ભારે ટિકિટ વેચાણ થતા, તેમણે ખાસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો, પરંતુ ભીડને સંભાળવા માટે પૂરતી વ્યવસ્થા નહોતી. પ્રયાગરાજ કુંભ જતી ટ્રેન પ્લેટફોર્મ નંબર ૧૪ પર રાહ જોઈ રહી હતી. આ દરમિયાન ત્યાં પહેલેથી જ મોટી ભીડ હાજર હતી અને અન્ય મુસાફરો પણ ત્યાં પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. રેલવેએ અચાનક પ્લેટફોર્મ નંબર ૧૬ પરથી એક ખાસ ટ્રેનની જાહેરાત કરી, જે મુસાફરો પહેલાથી જ પ્લેટફોર્મ ૧૪ પર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ હવે પ્લેટફોર્મ ૧૬ તરફ પણ દોડવા લાગ્યા, જેના કારણે અફરા તફરી સર્જાઈ હતી.
પોલીસે કહ્યુ કે ભીડ બેકાબૂ થઈ ગઈ અને લોકો એકબીજા પર પડવા લાગ્યા. આ નાસભાગનું કારણબન્યું હતું. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, રેલવે પ્રોટેક્શન ફોર્સના કર્મચારીઓની તહેનાતી સંતુલિત નહોતી, જેના કારણે ભીડને નિયંત્રિત કરવામાં મુશ્કેલીઓ ઊભી થઈ અને પરિસ્થિતિ વધુ ખરાબ થઈ.
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગમાં ૧૮ લોકોના મોત અને અનેક લોકો ઘાયલ થયા હતા. જે મૃતકોમાં નવ મહિલા, ચાર પુરૃષ અને પાંચ બાળકો સમાવિષ્ટ છે. જેમાં સૌથી વધુ નવ બિહારના, આઠ દિલ્હીના અને એક હરિયાણાના છે. આ ઘટના પ્લેટફોર્મ ૧૩ અને ૧૪ પર બની હતી. તે સમયે હજારો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે સ્ટેશન પર એકઠા થઈ રહ્યા હતા અને ટ્રેનમાં ચઢવા ધક્કા-મુક્કી કરી રહ્યા હતાં.