Last Updated on by Sampurna Samachar
પંજાબમાં પણ પાર્ટીમાં ફાડ પડવાની ચર્ચા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર બાદ સંયોજક અરવિંદ કેજરીવાલ હવે પંજાબમાં સંભવિત બળવાને કંટ્રોલ કરવામાં લાગી ગયા છે. તેમણે પંજાબના આપના ધારાસભ્યો અને સાંસદો અને નેતાઓને દિલ્હી બોલાવી લીધા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કેજરીવાલ પંજાબ સરકારના કામકાજની સમીક્ષા કરશે. તો વળી પંજાબ વિધાનસભા ચૂંટણી દરમ્યાન કરવામાં આવેલા વાયદાની પ્રગતિનું પણ નિરીક્ષણ કરશે. દિલ્હી ચૂંટણીમાં ભાજપે પંજાબમાં વાયદો પુરા નહીં કરવાનો મુદ્દો બનાવ્યો હતો.
દિલ્હી ચૂંટણીમાં હાર બાદ રાજકારણમાં ચર્ચા છે કે પંજાબમાં પણ પાર્ટીમાં ફાડ પડવાની આશંકા વ્યક્ત કરી છે. કેટલાય રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, અરવિંદ કેજરીવાલની હાર બાદ પાર્ટીના નેતા આપ છોડી શકે છે.
કોંગ્રેસે કટાક્ષ કરતા કહ્યું કે, ખુદ ભગવંત માન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે સંપર્કમાં છે અને તેઓ કોઈ પણ સમયે બળવો કરી શકે છે. પંજાબમાં માર્ચ ૨૦૨૭ માં વિધાનસભા ચૂંટણી થવાની છે. હવે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સામે પાર્ટીને સાચવી રાખવા અને ચૂંટણીના વચનો પુરા કરવા માટે ફક્ત બે વર્ષનો સમય બાકી છે.
પંજાબમાં આમ આદમી પાર્ટીએ ૨૦૨૨માં ૯૨ સીટો જીતીને સરકાર બનાવી હતી. ત્યારે ભગવંત માન સરકારે ખેડૂતોને મફત વીજળી, દિલ્હીની માફક મોહલ્લા ક્લિનિક અને મહિલાઓને દર મહિને એક હજાર રુપિયા આપવાનું વચન આપ્યું હતું. માન સરકારના કાર્યકાળના ત્રણ વર્ષ પુરા થઈ ચુક્યા છે. પણ મહિલાઓની આ સ્કિમ શરુ થઈ નથી. આર્થિક તંગીના કારણે પંજાબમાં મફત વીજળી યોજના અટકી ગઈ છે. પંજાબ સરકાર આરોપ લગાવતી રહે છે કે, કેન્દ્ર તેમને આર્થિક મદદ કરતી નથી.