Last Updated on by Sampurna Samachar
ભાજપ નેતાના નિવેદનની વિપક્ષે કરી ભારે ટીકા
વિપક્ષે મંત્રીને પદથી બરતરફ કરવા કરી માંગણી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહના વિવાદાસ્પદ નિવેદનનો મુદ્દો હજુ શાંત થયો નથી અને હવે રાજ્યના ડેપ્યુટી CM જગદીશ દેવડાના વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય તોફાન મચી ગયું છે. જબલપુરમાં નાગરિક સંરક્ષણ સ્વયંસેવકોના તાલીમ કાર્યક્રમને સંબોધતા દેવડાએ કહ્યું કે, આખો દેશ, દેશની સેના અને સૈનિકો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચરણોમાં નતમસ્તક છે.
દેવડાએ ભાવનાત્મક રીતે કહ્યું કે, મનમાં ઘણો ગુસ્સો હતો કે, ત્યાં ગયેલા પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછીને પસંદગીપૂર્વક મારી નાખવામાં આવ્યા હતા. મહિલાઓને બાજુ પર ઉભી રાખવામાં આવી હતી અને તેમની સામે ગોળી મારી દેવામાં આવી હતી. બાળકોની સામે તેમને ગોળી મારી દેવામાં આવી હતી. તે દિવસથી, આખા દેશના મનમાં તણાવ હતો કે જ્યાં સુધી આનો બદલો લેવામાં નહીં આવે, જ્યાં સુધી તે લોકોને મારી નાખવામાં નહીં આવે જેમણે માતાઓના સિંદૂર લૂછી નાખ્યા હતા, ત્યાં સુધી આપણે શાંતિથી શ્વાસ લઈ શકીશું નહીં.
ભાજપ અને જગદીશ દેવડાએ માફી માંગવી જોઈએ
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, અમે પ્રધાનમંત્રીનો આભાર માનવા માંગીએ છીએ. આખો દેશ, દેશની સેના, સૈનિકો તેમના ચરણોમાં નતમસ્તક છે. તેમણે જે જવાબ આપ્યો છે, તેની પ્રશંસા જેટલી કરીએ એટલી ઓછી છે. રાજ્યના નાણામંત્રી દેવડાનું આ નિવેદન ઓપરેશન સિંદૂર અંગે હતું, જે હેઠળ ભારતીય સેનાએ પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ૭ મેના રોજ પાકિસ્તાન અને POK માં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો.
આ કાર્યવાહીમાં ૧૦૦ થી વધુ આતંકવાદીઓ અને ઘણા પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. દેવડાએ આ કાર્યવાહી માટે વડા પ્રધાનની પ્રશંસા કરી હતી, પરંતુ સેનાને ‘વડા પ્રધાનના ચરણોમાં નમન’ ગણાવતા તેમના નિવેદનથી વિવાદ સર્જાયો હતો. હવે વિપક્ષે આની આકરી ટીકા શરૃ કરી દીધી છે, તેને સેનાનું અપમાન ગણાવ્યું છે.
કોંગ્રેસે આ નિવેદનને સેનાનું અપમાન ગણાવ્યું છે. પાર્ટી વતી ‘X’ પર લખ્યું હતું કે, દેશની સેના અને સૈનિકો વડા પ્રધાન મોદીના ચરણોમાં નતમસ્તક છે. આ વાત મધ્યપ્રદેશની ભાજપ સરકારના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાએ કહી હતી. જગદીશ દેવડાનું આ નિવેદન ખૂબ જ સસ્તું અને શરમજનક છે. આ સેનાની બહાદુરી અને હિંમતનું અપમાન છે. આજે જ્યારે આખો દેશ સેના સમક્ષ નમન કરી રહ્યો છે, ત્યારે ભાજપના નેતાઓ આપણી બહાદુર સેના વિશે પોતાના ખરાબ વિચારો વ્યક્ત કરી રહ્યા છે. ભાજપ અને જગદીશ દેવડાએ માફી માંગવી જોઈએ. તેમને તેમના પદ પરથી બરતરફ કરવા જોઈએ.