Last Updated on by Sampurna Samachar
પૂણેની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી ખુલાસો
દિલ્હીની હવામાં પારાના સ્તર ૬.૯ નેનોગ્રામ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીમાં શ્વાસ લેવો હવે વધુ ખતરનાક બની ગયો છે. પૂણેની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી દ્વારા છ વર્ષના સંશોધનમાં જાણવા મળ્યું છે કે દિલ્હીની હવામાં પારાની માત્રા સૌથી વધુ છે. પારો એક ઝેરી ધાતુ છે જે નર્વસ સિસ્ટમ, કિડની અને હૃદય માટે હાનિકારક છે. રિસર્ચમાં દિલ્હી, અમદાવાદ અને પૂણેની હવાની તુલના કરવામાં આવી છે. જેના પરિણામો ચોંકાવનારા છે.
દિલ્હીમાં પારાના સ્તર હજુ પણ દક્ષિણ એશિયામાં સૌથી વધુ છે. દિલ્હીની હવામાં પારાના સ્તર ૬.૯ નેનોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર જોવા મળ્યું છે, જ્યારે અમદાવાદમાં તે ૨.૧ અને પૂણેમાં તે ૧.૫ નેનોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હતું. દિલ્હીનો પારાના સ્તર વૈશ્વિક સ્તર કરતા ૧૩ ગણો વધારે હતો.
પારો આરોગ્ય માટે ૧૦ સૌથી ખતરનાક રસાયણોમાંનું એક
રિસર્ચ અનુસાર, આ શહેરોમાં ૭૨% થી ૯૨% પારો કોલસા બાળવા, ટ્રાફિક અને ઉદ્યોગો જેવી માનવ પ્રવૃત્તિઓને કારણે છે. શિયાળામાં અને રાત્રે પારાના પ્રમાણમાં વધારો થાય છે, જે કોલસા બાળવા, પરાળી બાળવા અને સ્થિર હવામાનને કારણે થાય છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીઝના અધ્યક્ષ પ્રોફેસર ગુફરાન બેગે જણાવ્યું હતું કે, IITM અનુસાર પારો આરોગ્ય માટે ૧૦ સૌથી ખતરનાક રસાયણોમાંનું એક છે. જો શ્વાસ દ્વારા ૫-૧૦ વર્ષ સુધી થોડી માત્રામાં પણ તેનો સંપર્ક ચાલુ રહે તો તે ખતરનાક બની શકે છે. લાંબા સમય સુધી પારો શ્વાસમાં લેવાથી નર્વસ સિસ્ટમ, પાચનતંત્ર, રોગપ્રતિકારક શક્તિ, કિડની અને ફેફસાંને નુકસાન થાય છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં હવામાં પારાના સ્તર સૌથી વધુ છે, જ્યારે અમદાવાદ અને પૂણેમાં સૌથી નીચું સ્તર છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે તાજેતરના વર્ષોમાં ધીમે ધીમે ઘટાડો થવાના સંકેતો જોવા મળ્યા છે. દિલ્હીની હવામાં પારાના સ્તરમાં વધારો થવાનું મુખ્ય કારણ કોલસો બાળવા, ટ્રાફિક અને ઉદ્યોગ જેવી માનવ પ્રવૃત્તિઓ છે. શિયાળા અને રાત્રિના સમયે પારાના સ્તરમાં વધારો થાય છે, જે મગજ, કિડની, ફેફસાં, હૃદય અને પાચનતંત્ર પર ગંભીર અસર કરી શકે છે.