Last Updated on by Sampurna Samachar
સુરતમાં માનવતસ્કરીનો ચોંકાવનારો કિસ્સો
દિવસમાં બે – ત્રણ વાર નશાકારક પીણું પીવડાતુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતના લિંબાયત વિસ્તારમાં માનવ તસ્કરીનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગરીબ શ્રમજીવી પરિવારની ૧૫ વર્ષીય સગીરાને નશાકારક પદાર્થો આપીને માત્ર ૧૦ દિવસની અંદર બે વખત વેચવામાં આવી હતી અને બળજબરીપૂર્વક બે અલગ-અલગ લગ્ન કરાવવામાં આવ્યા હતા. આ સમગ્ર ગંદા ધંધાનો પર્દાફાશ થતાં પોલીસ હરકતમાં આવી ગઈ છે અને અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે ફરઝાના નામની મહિલા વોન્ટેડ છે.
મળતી માહિતી અનુસાર લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં રહેતી આ સગીરાની માતા કેટરિંગમાં કામ કરે છે, જ્યારે પિતા લાંબા સમયથી બિમાર રહે છે. આ નબળાઈનો ફાયદો ઉઠાવી સગીરાની પડોશી નૂરી વસીમ શેખ, તેનો પતિ વસીમ (રિક્ષા ચાલક) અને ફરઝાના નામની મહિલા ત્રિપુટીએ સગીરાની માતાને લાલચ આપી હતી કે, તેઓ દીકરીને લસકાણામાં કેટરિંગ કામે લઈ જશે.
પોલીસ હવે કડક અભિયાન ચલાવશે
માતાને શંકા પણ ના આવી અને દીકરી થોડા દિવસમાં પાછી આવી જશે એ વિશ્વાસ સાથે મંજૂરી આપી દીધી. પરંતુ, હકીકતમાં આ એક ગોઠવાયેલું કાવતરું હતું. આરોપીઓએ સગીરાને લસકાણા લઈ જઈને શોએબ નામના વ્યક્તિ પાસે રાખી હતી. અહીં તેને દિનમાં બે થી ત્રણ વાર કોરેક્સ જેવી નશાકારક કફ સિરપ પીવડાવવામાં આવતી હતી, જેથી તે ભાનમાં રહી ના શકે.
નશાની આ હાલતમાં જ આરોપીઓએ તેની ઇચ્છા વિરુદ્ધ શોએબ સાથે નિકાહ કરાવ્યો હતો અને બદલામાં ૫૦ હજાર રૂપિયાનું સોદો કર્યો હતો. આ બાદ માત્ર ૧૦ દિવસ પછી આ ટોળકી ફરીથી સગીરાને મહારાષ્ટ્રના સોલાપુર લઈ ગયા. અહીં “લગ્નમાં કેટરિંગ કામ છે” કહી બહાનું બનાવવામાં આવ્યું. વાસ્તવમાં, આરોપીઓએ સગીરાને એક યુવકને ૨ લાખમાં વેચી નાંખી હતી. અહીં તેના હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરાવવામાં આવ્યા હતા.
સગીરા ૧૫ દિવસ સુધી ત્યાં રહી, દરમિયાન તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. નશાની હાલતમાંથી થોડા સમય માટે બહાર નીકળી, સગીરાએ પોતાની માતાને ફોન કરીને મદદ માગી હતી. ફોન પર તેણે આક્રંદ કરી કહ્યું કે, “અમ્મી, મુજે સોલાપુર સે નિકાલો, મુજે ફરઝાના ને કિસી કો પૈસે લેકર બેચ દિયા હૈ.”
માતાએ તાત્કાલિક પડોશી નૂરી શેખનો સંપર્ક કર્યો અને દીકરીને પાછી લાવવાની વિનંતી કરી. અંતે, આરોપીઓએ દબાણને કારણે સગીરાને સુરત પાછી લાવીને છોડી દીધી અને ભાગી ગયા. ઘરે પરત ફર્યા પછી સગીરાએ આખી હકીકત માતાને જણાવી હતી. ઘટનાની ગંભીરતા સમજતા જ સગીરાની માતાએ પોલીસનો સંપર્ક કર્યો.
કેસ અંગે જાણ થતાં જ ડીસીપી ડૉ. કાનન દેસાઈ લિંબાયત પોલીસ મથકે દોડી આવ્યા અને ઝડપી કાર્યવાહી કરવા આદેશ આપ્યા. પોલીસએ તાત્કાલિક નૂરી વસીમ શેખ સહિત ત્રણ આરોપીઓને ઝડપ્યા છે, જ્યારે ફરઝાના નામની મહિલા હજુ વોન્ટેડ છે
આ બનાવે શહેરમાં ચકચાર મચાવી દીધી છે. કિશોરીઓ અને ગરીબ પરિવારોને લલચાવી નશાની પકડમાં લઈ માનવ તસ્કરીના ભોગ બનાવવાની પ્રવૃત્તિ સામે પોલીસ હવે કડક અભિયાન ચલાવશે એવી ચર્ચા છે.