Last Updated on by Sampurna Samachar
11 લાખ લિટરની ટાંકી એક જ સેકન્ડમાં પત્તાના મહેલની જેમ ધરાશાયી
આ દુર્ઘટનામાં ૩ મજૂરો ઈજાગ્રસ્ત થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં વધતાં ભ્રષ્ટાચારમાં વધુ એક કેસ સામે આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સરકારી કામોમાં થતા ભ્રષ્ટાચારનો વધુ એક જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના માંડવી તાલુકાના અરેઠ-તડકેશ્વર ગામે પાણી પુરવઠા યોજના અંતર્ગત નિર્માણ પામેલી વિશાળ ટાંકી લોકાર્પણ પૂર્વે જ ધરાશાયી થઈ ગઈ છે. ટાંકીના ટેસ્ટિંગ દરમિયાન સર્જાયેલી આ દુર્ઘટનામાં ૩ મજૂરો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે ૯ લાખ લિટર પાણી વહી જતાં ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, તડકેશ્વર ગામે ૧૧ લાખ લિટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકીનું કામ તાજેતરમાં જ પૂર્ણ થયું હતું. કામગીરીની મજબૂતી તપાસવા માટે તેમાં ૯ લાખ લિટર પાણી ભરવામાં આવ્યું હતું. પરંતુ, ભ્રષ્ટાચારના પાયા પર ઉભી થયેલી આ ટાંકી પાણીનો ભાર ઝીલી શકી નહોતી. જોતજોતામાં ટાંકી પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી.
ઘટનાને પગલે ગ્રામજનોમાં વ્યાપક રોષ જોવા મળ્યો
ટાંકી જ્યારે તૂટી ત્યારે ત્યાં કામ કરી રહેલા ૩ મજૂરો તેની ઝપેટમાં આવતા ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે. ટાંકી ધરાશાયી થતાં જ અંદર રહેલું ૯ લાખ લિટર પાણી ધસમસતા પ્રવાહની જેમ નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યું હતું. પૂર જેવો પ્રવાહ જોઈને ગ્રામજનોમાં નાસભાગ મચી ગઈ હતી અને ભારે ફફડાટ ફેલાયો હતો.
આ ઘટનાને પગલે ગ્રામજનોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો સીધો આક્ષેપ છે કે ટાંકીના નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે. લોકાર્પણ પહેલા જ ટાંકી તૂટી પડતા કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલી આ ટાંકી જમીનદોસ્ત થતા હવે જવાબદારો સામે કડક તપાસની માંગ ઉઠી છે