Last Updated on by Sampurna Samachar
બંનેના સંબંધ તૂટવાનું કારણ અનમોલ કેસ હોવાના અહેવાલ
દેશની સુરક્ષા એજન્સીઓની વધી શકે મુશ્કેલી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશ અને દુનિયાના કુખ્યાત ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાડ વચ્ચે વિવાદ થયો હોય તેમ જાણવા મળી રહ્યુ છે. જ્યાં હવે બંનેના રસ્તા અલગ થઈ ગયા છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી ગઈ છે. બંનેના સંબંધ તૂટવાનું કારણ લૉરેન્સનો તેના ભાઈ અનમોલના કેસ અંગે ગોલ્ડી અને સચિન ગોદારા પ્રત્યેનો નારાજગી છે.

સુત્રોથી મળતી જાણકારી પ્રમાણે લૉરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાડ વચ્ચેના વિવાદની વાત કરીએ તો, ગોલ્ડી બરાડ અને સચિન ગોદારાએ અમેરિકામાં લૉરેન્સના ભાઈના કેસને યોગ્ય રીતે હેન્ડલ કર્યો ન હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીઓને માહિતી મળી હતી કે ગોલ્ડી બરાડ અને ગોદારાએ અનમોલને જરૂરી જામીન બોન્ડ ફાઇલ કરવામાં મદદ કરી ન હતી. જોકે અનમોલને બાદમાં છોડી દેવામાં આવ્યો હતો. પરંતુ લૉરેન્સ બિશ્નોઈ, અમેરિકામાં તેના ભાઈ અનમોલની ધરપકડ બાદ ગોલ્ડી અને સચિન ગોદારાના વલણથી ગુસ્સે થયો હતો.
હવે એકબીજાથી અલગ થવાનો ર્નિણય લીધો
અનમોલની નવેમ્બર ૨૦૨૪ માં નકલી દસ્તાવેજો સાથે મુસાફરી કરવા બદલ USઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેના પર મે ૨૦૨૨ માં પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં સામેલ હોવાનો અને ગયા વર્ષે NCP નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યાનો માસ્ટરમાઇન્ડ હોવાનો આરોપ છે.
સૂત્રો અનુસાર, લૉરેન્સ અને ગોલ્ડીએ હવે એકબીજાથી અલગ થવાનો ર્નિણય લીધો છે. ગોલ્ડી બરાડ હવે અઝરબૈજાન સ્થિત રોહિત ગોદારા સાથે કામ કરી રહ્યો છે, જ્યારે લૉરેન્સ બિશ્નોઈ કેનેડા સ્થિત નોની રાણાના સંપર્કમાં છે. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓને ડર છે કે આ નવી ગેંગ, વોર અથવા વફાદારોની અદલાબદલી તરફ દોરી શકે છે.
તાજેતરમાં યોજાયેલી એક મહત્ત્વપૂર્ણ બેઠકમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી સમક્ષ પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, જેમાં પંજાબ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.
તપાસમાં ખુલાસો થયો છે કે નોની રાણા, જેનું સાચું નામ સૂર્ય પ્રતાપ છે, તે અમેરિકાથી લૉરેન્સ બિશ્નોઈ માટે ફોન કરીને ખંડણી અને ગેંગ ચલાવી રહ્યો છે. તે હરિયાણાના કુખ્યાત ગેંગસ્ટર કાલા રાણા (વીરેન્દ્ર પ્રતાપ)નો નાનો ભાઈ છે. બીજી તરફ, ગોલ્ડી અને ગોદારાએ તાજેતરમાં કેનેડાના મિસિસૌગામાં ટ્રકિંગ અને વીમાનો વ્યવસાય કરતા વેપારી હરજીત સિંહની હત્યા માટે સોશિયલ મીડિયા પર જવાબદારી લીધી હતી. પરંતુ આ વખતે તેણે લૉરેન્સ બિશ્નોઈ અથવા તેના સહયોગીઓનું નામ લખ્યું નથી, જ્યારે તે સામાન્ય રીતે આવું કરે છે.