Last Updated on by Sampurna Samachar
PM મોદીને હુમલા પહેલાં ગુપ્તચર અહેવાલ મળ્યો
આતંકવાદીઓએ હિંદુઓને નિશાન બનાવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આતંકી હુમલાને લઇ PM મોદી માટે દાવો કર્યો છે. જેમાં ઝારખંડના રાંચીમાં એક રેલીને સંબોધિત કરતી વખતે ખડગેએ દાવો કર્યો હતો કે ૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના ત્રણ દિવસ પહેલા વડા પ્રધાન મોદીને ગુપ્તચર અહેવાલ મોકલવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું કે આ એક ઈન્ટેલિજન્સ ફેયલોર છે. સરકારે તેને સ્વીકારી લીધું છે અને હવે તેઓ તેમાં સુધારો કરશે. જો સરકારને આ વાતની ખબર હતી તો તેમણે કંઈ કેમ ન કર્યું ? મને ખબર પડી કે હુમલાના ત્રણ દિવસ પહેલા PM મોદીને એક ગુપ્તચર અહેવાલ મોકલવામાં આવ્યો હતો. આ પછી જ તેમનો કાશ્મીર પ્રવાસ રદ કરવામાં આવ્યો. મેં પણ આ સમાચારપત્રમાં વાંચ્યું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મોટા યુદ્ધો થયા
ઉલ્લેખનીય છે કે ૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા જ્યારે ૧૭ ઘાયલ થયા હતા. આ હુમલો પહેલગામની બૈસરન ખીણમાં કરવામાં આવ્યો હતો, જેમાં આતંકવાદીઓએ હિંદુઓને નિશાન બનાવ્યા હતા.
પહેલગામ હુમલા પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) એ તાત્કાલિક અસરથી સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. આ પહેલી વાર છે જ્યારે ભારતે આટલી મોટી અને કડક કાર્યવાહી કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મોટા યુદ્ધો થયા છે પરંતુ આ સંધિ પહેલાં ક્યારેય સ્થગિત કરવામાં આવી નથી.
કેબિનેટ સમિતિની બેઠકમાં લેવાયેલા ર્નિણયો અંગે, વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ૧૯૬૦ ની સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. આ પ્રતિબંધ ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ ન કરે.
આ પછી, ભારત સરકારે ભારતમાં પાકિસ્તાન સંબંધિત ઘણી યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ મૂક્યો. ઉપરાંત, પાકિસ્તાની વિમાનો માટે ભારતીય હવાઈ ક્ષેત્ર ૨૩ મે સુધી બંધ કરી દેવામાં આવ્યું છે.